મહેસાણા એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા નોંધવામાં આવેલા લાંચના એક ચર્ચિત કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે મહત્વનો અને આકરો ચૂકાદો આપ્યો છે. કોર્ટે આરોપી અને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ભીખુભા મનુભા વાઘેલાને દોષિત ઠેરવીને 4 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત, વિસનગરની સ્પેશ્યલ કોર્ટે દોષિત આરોપીને રૂ. 35 હજારનો રોકડ દંડ પણ ફટકાર્યો છે.
પ્રોહિબિશન કેસમાં રાહત આપવા માંગી હતી રૂ. 7 હજારની લાંચ
આ સમગ્ર કેસની વિગત અનુસાર, આરોપી ભીખુભા વાઘેલા વર્ષ 2019માં બ્રાહ્મણવાડા આઉટ પોસ્ટ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાા હતા. તે સમયે ફરિયાદીના પરિવારના એક સભ્ય વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો. આ કેસની તપાસમાં હેરાન ન કરવા, કોર્ટમાં ચાર્જશીટ ઝડપથી રજૂ કરવા અને જામીન અરજી દરમિયાન રાહત આપવાના બદલામાં આરોપી કોન્સ્ટેબલે રૂ. 7 હજારની લાંચની માંગણી કરી હતી.
