નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તહેવારોની સીઝન પૂર્વે નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાના સેનેટરી વિભાગે સંતરામ રોડ પર આવેલી પ્રખ્યાત 'સુપર બેકર્સ' પર સરપ્રાઈઝ દરોડો પાડીને નિયમોનો અનાદર કરીને વેચવામાં આવતાં 500થી વધુ પાંઉના પેકેટનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ આકરી કાર્યવાહીથી અસ્વચ્છ અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફાળો પડી ગયો છે.
સુપર બેકર્સની દુકાન અને ગોડાઉન સીલ
આ અંગે મળતી વિગતો અનુસાર, સેનેટરી ચીફ ઇન્સ્પેક્ટર મયંક દેસાઈની આગેવાની હેઠળની ટીમે સંતરામ રોડ પર સ્થિત 'સુપર બેકર્સ' ની દુકાન અને ગોડાઉન પર અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરીના પેકિંગ પર ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે અન્ય જરૂરી વૈધાનિક વિગતો (Mandatory Packaging Details) દર્શાવ્યા વગર જ પાંઉનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. નિયમોના આ ખુલ્લા ઉલ્લંઘન બદલ મનપાની ટીમે ત્વરિત ધોરણે કાર્યવાહી કરીને સુપર બેકર્સની મુખ્ય દુકાન અને ગોડાઉન બંનેને સીલ કરી દીધા હતા.
