પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરશન સોસાયટીમાં રહેતા અને કાલોલ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા સુરસિંહ રાઠોડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક તલાટી મૂળ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના વતની હતા અને હાલ ગોધરા ખાતે પોતાની સોસાયટીમાં પરિવાર સાથે નિવાસ કરતા હતા.

પિતાને ફોન કરી આપઘાતની વાત કરી, રક્ષાબંધને થયો હતો વિવાદ

મરણજનાર તલાટી સુરસિંહ રાઠોડે આ આત્યંતિક અને કરૂણ પગલું ભરતા પહેલા પોતાના પિતાને ફોન કર્યો હતો. ફોન પર તેમણે પોતે જીવન ટૂંકાવી રહ્યા હોવાની વાત પિતા સમક્ષ કરી હતી. પરિવારજનો કંઈ સમજે કે બચાવવા માટે પહોંચે તે પહેલાં જ તેમણે ગળેફાંસો ખાઈ લીધો હતો. મળતી વિગતો મુજબ, તાજેતરમાં જ રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન પરિવારમાં કોઈ બાબતે ઉગ્ર વિવાદ થયો હતો. આ પારિવારિક મનદુઃખ અને કૌટુંબિક કલેશના કારણે જ તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.

ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક જવાબદાર સરકારી કર્મચારી અને તલાટી તરીકે ફરજ બજાવતા યુવાને આપઘાત કરી લેતાં સરકારી આલમ તેમજ તેમના માદરે વતન દેલોચ ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો : Vav-Tharadમાં UGCના નવા નિયમો સામે વિરોધનો સૂર, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પુનર્વિચારની માંગ