પાટણ જિલ્લાના રાધનપુરમાં એક ગંભીર ઘટના બની છે, જ્યાં એક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સગીરા રાધનપુરના એક જાણીતા મોલમાંથી ગુમ થઈ હતી, જેના પગલે તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
રાધનપુરમાં 17 વર્ષીય સગીરાનું અપહરણ
પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરા તેની દાદી સાથે રાધનપુરમાં આવેલા હેપી મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી. મોલમાં ખરીદી દરમિયાન સગીરાએ દાદીને બાસ્કેટ લેવાનું કહીને તેમની પાસેથી અલગ થઈ હતી. જોકે, ત્યારબાદ તે લાંબા સમય સુધી પાછી ન ફરતાં તેના દાદી અને પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. લાંબી શોધખોળ અને પૂછપરછ બાદ પણ સગીરાનો કોઈ પત્તો ન લાગતાં પરિવારજનોએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.
સગીરા મોલમાં બાસ્કેટ લેવા જતા અપહરણ થયું
સગીરાના પરિવારે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં ધાનેરા તાલુકાના ભાટીબ ગામના એક યુવક સામે અપહરણનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, કિરણ પરમાર નામના આ યુવકે સગીરાને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કર્યું છે. જાણવા મળ્યા મુજબ, કિરણ નામનો આ યુવક સગીરાના વિસ્તારમાં રહેતો હોવાથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.પોલીસ ફરિયાદ નોંધાતા જ રાધનપુર પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી કિરણ પરમાર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.
રાધનપુર પોલીસ મથકે ફરિયાદ
જોકે, આ દરમિયાન કિરણના પરિવારે સગીરાના પરિવારજનોને ખાતરી આપી હતી કે તેઓ બંનેને શોધીને પાછા લાવી આપશે. તેમ છતાં, સગીરા લાંબી શોધખોળ છતાં ન મળી આવતાં સગીરાના પરિવારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. પોલીસે આરોપીને વહેલી તકે ઝડપી પાડવા અને સગીરાને હેમખેમ પરત લાવવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.









