1989માં રાજ્યના તત્કાલિન આરોગ્ય મંત્રી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઇ પટેલની હત્યા કરાઇ હતી જેમાં આરોપી રહેલા હડમતીયા વાળા અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ કેસમાં 1996માં કોર્ટે હડમતીયા વાળા અનિરૂદ્રસિંહને નિર્દોષ છોડ્યા હતા તેથી કોર્ટના ચૂકાદાને રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.


 29 વર્ષે હાઇકોર્ટે રાજ્યની અપીલ નકારી

જો કે હવે 29 વર્ષે હાઇકોર્ટે રાજ્યની અપીલ નકારી છે અને હડમતીયા વાળા અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ 1996માં રાજકોટ સેશન્સ કોર્ટે ચૂકાદો આપતા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતા.

 એક શખ્સે તેમને છરીના 6 ઘા ઝીંક્યા

આ બનાવમાં વલ્લભભાઇ પટેલ તત્કાલિન આરોગ્ય મંત્રી હતા અને તેઓ પડધરીના હડમતીયા ગામે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ગયા હતા અને તેઓ પોતાનું સંબોધન પુર્ણ કરીને બુટ પહેરતા હતા ત્યારે અચાનક જ ધસી આવેલા એક શખ્સે તેમને છરીના 6 ઘા ઝીંક્યા હતા. તેમને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેમનું હોસ્પિટલમાં મોત થયું હતું.

 કોઇ અજાણ્યા શખ્સે મારી પર છરી વડે હુમલો કર્યો હતો

 મીડિયા અહેવાલો અનુસાર વલ્લભભાઇએ મૃત્યું પહેલા આપેલા નિવેદનમાં કહેલું કે કોઇ અજાણ્યા શખ્સે મારી પર છરી વડે હુમલો કર્યો હતો. તે કોણ હતો તે હું કહી શકું નહી. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ કરીને બળો ઉર્ફે અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા (હડમતીયાવાળા)ને ઝડપી પાડ્યો હતો.


  • Follow us on: