ગુજરાતમાં ચાલુ વર્ષમાં પાંચ જેટલા પોલીસ કર્મીઓએ આપઘાત કર્યો હોવાની ઘટનાઓ બની છે. ત્યારે રાજકોટ શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા નિરંજન જાનીએ ગઈ કાલે પોતાના ઘરે જ માથામાં ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેઓ બિમારીથી કંટાળ્યા હોવાની ચર્ચાઓ સામે આવી છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો
રાજકોટ શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવી ચૂકેલા નિરંજન જાની દ્વારા બુધવારના રોજ પોતાના ઘરે પોતાની પરવાના વાળા હથિયાર વડે માથાના ભાગે ગોળી ધરબી આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો.તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી હતી.
