રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં વ્યાજખોરી સાથે જોડાયેલો દુષ્કર્મનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ મહિલાના પતિએ પુત્રના લગ્ન માટે 10 ટકા વ્યાજે રૂ.1.50 લાખ લીધા હતા. આ રકમ સામે આશરે રૂ.2 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપી દ્વારા વધુ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

પ્રૌઢ ઘરે નહોતા, ત્યારે આરોપી પહોંચી ગયો

ફરિયાદ મુજબ, મહિલાના પતિ ઘરે હાજર ન હતા તે દરમિયાન આરોપી રમેશ ઠાકરશી પંચાળા તેમના ઘરે પહોંચ્યો હતો. આ સમયે આરોપીએ મહિલાને ડરાવી-ધમકાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

રૂ.1.50 લાખના દેવા બાદ પણ ઉઘરાણીનો આક્ષેપ

મહિલાની ફરિયાદ મુજબ, પરિવાર દ્વારા લીધેલી રકમ સામે રૂ.2 લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં આરોપી વધુ નાણાંની માગણી કરતો હોવાનો આરોપ છે. આર્થિક દબાણ વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.

દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો

મહિલાની ફરિયાદના આધારે વિંછીયા પોલીસે આરોપી રમેશ ઠાકરશી પંચાળા વિરુદ્ધ દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં વ્યાજખોરીની ઉઘરાણી, મહિલાના આક્ષેપો અને સમગ્ર ઘટનાની હકીકત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. 


આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું