સુરત શહેરમાં થોડા સમય પહેલા નાનપુરા વિસ્તારમાં થયેલી એક હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્લમ્બરની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડીને હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જાહેર કર્યું છે.નાનપુરા વિસ્તારમાં રાજુ વજેસિંહ સંગાડા (ઉંમર આશરે 40 વર્ષ) નામના પ્લમ્બરની હત્યા થઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી શોકત અલીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.


સુરતમાં પ્લમ્બરની હત્યા કરનાર આરોપી ઝડપાયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શોકત અલીએ વહેમના કારણે આ હત્યા કરી હતી. આરોપીને એવો વહેમ હતો કે મૃતક રાજુભાઈ સંગાડા તેની પત્ની અને બે પુત્રીઓ પર ખરાબ નજર રાખતો હતો અને તેમને હેરાન કરતો હતો.આ વહેમમાં આવીને આરોપી શોકત અલીએ ઉશ્કેરાઈ જઈને રાજુભાઈ પર હુમલો કર્યો હતો. આરોપીએ રાજુભાઈના માથા અને કપાળના ભાગે ઈંટ વડે ગંભીર રીતે હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી.

 ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો

હત્યાના ગુનામાં વોન્ટેડ બનેલા આરોપી શોકત અલીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી શોકત અલીનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરી છે.આ હત્યા કેસના ભેદ ઉકેલાતા નાનપુરા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

  • Follow us on: