આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા માટે 8થી 10 જણાની સિન્ડિકેટ સક્રિય હતી.પોલીસે આ સિન્ડિકેટ ફરતે તપાસ કેન્દ્રિત કરી હોવાનું જાણવા મળે છે.


આકાશ મિશ્રાને અટકાયતમાં લઇ પૂછપરછ કરી હતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સુરતમાં આમ આદમી પાર્ટી માટે મોટું ફંડ દિલ્હીથી હવાલા મારફતે આંગડિયામાં મોકલાયું હતું.ક્રાઈમ બ્રાંચે પીપલોદના પ્રગતિનગરમાં રહેતા આકાશ મિશ્રાને અટકાયતમાં લઇ પૂછપરછ કરી હતી. જેમાં દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા આંગડિયામાં નાણાં મોકલતો હતો. છેલ્લા 6 મહિનામાં મહિધરપુરામાં ભવાની વડ પાસેની અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં 1.25 કરોડ જેટલી રકમ પાહુજાએ મોકલી આપી હતી અને આંગડિયામાં આ નાણાં લેવા આકાશ મિશ્રા અને અજય તિવારી જતો હોવાનો પણ ખુલાસો થયો હતો.

દિલ્હીથી મોકલાયેલા આ ફંડનો ઉપયોગ

સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે અને મતદારોને રીઝવવા દિલ્હીથી મોકલાયેલા આ ફંડનો ઉપયોગ થયો હોવાની વાત છે. ફંડિંગ સિન્ડિકેટમાં ૮-૧૦ જણા સામેલ છે. કોનો શું રોલ છે અને ક્યાં મતદારોને ટાર્ગેટ કરવાના હતા? તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈ મુક્ત કરી દીધો હતો અને ઉમરા પોલીસમાં પણ જાણવા જોગ નોંધવામાં આવી હતી. જોકે, આકાશ મિશ્રા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે.તે દિલ્હી ભાગી ગયો હોવાની આશંકા છે.

દિલ્હીના હિમાંશુ પાહુજાની પણ પૂછપરછ કરાશે

હવાલાની સિન્ડિકેટમાં આગામી દિવસોમાં અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની પણ પૂછપરછ કરાશે.કરોડોના નાણાંની હેરફેરમાં ઈન્કમટેક્સ વિભાગ પણ તપાસમાં જોતરાયો છે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીથી હવાલામાં આવતા નાણાં સુરતના ગ્રામ્ય વિસ્તારોના મતદારોને વહેંચવાની ગેમ ગોઠવાઈ હતી.ગરીબ-જરૂરિયાતમંદ મતદારોને નાણાંના જોરે પ્રભાવિત કરવા સાથે તેઓ થકી અશાંતિ ફેલાવવાનો પણ બદઈરાદો હતો. પોલિટિકલ હવાલા કાંડમાં મોટા માથાઓના ચહેરા પણ બેનકાબ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ઇસનપુર પબ્લીક સ્કૂલમાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં સહપાઠીએ પરિકર માર્યું


  • Follow us on: