સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક અદાવતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.પોતાની પસંદગીના પાત્ર સાથે દિકરીની સગાઈ ન કરી હોવાનો ખાર રાખી બનેવીએ પોતાની જ સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.આ હુમલામાં વચ્ચે પડેલા સગીર સાળાને પણ સળગાવી દેવાની કોશિશ કરી આરોપી નાસી છૂટ્યો હતો.ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રોહિણીના લગ્ન તેમના કોઈ સબંધી સાથે ઈચ્છતા હતા
પોલીસ ફરિયાદ અનુસાર પાંડેસરા ભીડભંજન વિસ્તારની મરાઠાનગરમાં રહેતા આશાબેન જાદવની દિકરી રોહિણીની સગાઈ તેમની માતા રત્નાબેન સોનવણેએ નક્કી કરાવી હતી. આશાબેનના બનેવી મનોહર મહાજન રોહિણીના લગ્ન તેમના કોઈ સબંધી સાથે ઈચ્છતા હતા.પોતાની વાત ન મનાતા મનોહરે સગાઈમાં આવવાનો ઈનકાર કર્યો હતો અને પત્ની સંગીતા સાથે પણ અવારનવાર ઝઘડા કરી તમારા સગાઓને સળગાવી દઈશ એવી ધમકીઓ આપતો હતો.24 એપ્રિલે રોહિણીના લગ્ન હોવાથી ઘરમાં તૈયારીઓ પુરજોશમાં ચાલતી હતી.બુધવારે સવારે સાડા દસેક વાગ્યાના સુમારે રત્નાબેન ઘરના ઓટલા પર શાકભાજી સમારતા હતા.
