સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક અદાવતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.પોતાની પસંદગીના પાત્ર સાથે દિકરીની સગાઈ ન કરી હોવાનો ખાર રાખી બનેવીએ પોતાની જ સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.આ હુમલામાં વચ્ચે પડેલા સગીર સાળાને પણ સળગાવી દેવાની કોશિશ કરી આરોપી નાસી છૂટ્યો હતો.ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રોહિણીના લગ્ન તેમના કોઈ સબંધી સાથે ઈચ્છતા હતા

પોલીસ ફરિયાદ અનુસાર પાંડેસરા ભીડભંજન વિસ્તારની મરાઠાનગરમાં રહેતા આશાબેન જાદવની દિકરી રોહિણીની સગાઈ તેમની માતા રત્નાબેન સોનવણેએ નક્કી કરાવી હતી. આશાબેનના બનેવી મનોહર મહાજન રોહિણીના લગ્ન તેમના કોઈ સબંધી સાથે ઈચ્છતા હતા.પોતાની વાત ન મનાતા મનોહરે સગાઈમાં આવવાનો ઈનકાર કર્યો હતો અને પત્ની સંગીતા સાથે પણ અવારનવાર ઝઘડા કરી તમારા સગાઓને સળગાવી દઈશ એવી ધમકીઓ આપતો હતો.24 એપ્રિલે રોહિણીના લગ્ન હોવાથી ઘરમાં તૈયારીઓ પુરજોશમાં ચાલતી હતી.બુધવારે સવારે સાડા દસેક વાગ્યાના સુમારે રત્નાબેન ઘરના ઓટલા પર શાકભાજી સમારતા હતા.

માતાએ ગોદડી ઓઢાડી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો

ત્યારે અચાનક મનોહર મહાજન જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ અને સળગતું લાકડું લઈને ધસી આવ્યો હતો અને રત્નાબેન પર પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી.સખત દાઝી જતાં આશાબેન અને તેમનો 15 વર્ષનો પુત્ર હરીશ બહાર દોડી આવ્યા હતા.હરીશે પાણીની ડોલ નાંખી અને માતાએ ગોદડી ઓઢાડી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.આ દરમિયાન મનોહરે હરીશ પર પણ પ્રવાહી છાંટી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.હરીશે પ્રતિકાર કરતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.108 એમ્બ્યુલન્સ મારફતે રત્નાબેનને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આશાબેનની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે મનોહર મહાજન વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Local body election : CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ