સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ રાજમહેલ મોલમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોલમાં આવેલી ઓફિસમાં એક 23 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસ તંત્રને બનાવ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું.

નિલેશભાઈ પ્લાસ્ટિકના વાટકા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ પુણાગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય નિલેશભાઈ રાઠોડ તરીકે થઈ છે. નિલેશભાઈ પ્લાસ્ટિકના વાટકા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો

તેઓ રાજમહેલ મોલ સ્થિત ઓફિસમાં હતા ત્યારે કોઈ અણધાર્યા પગલા રૂપે વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ મોલના વેપારીઓ અને કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

પોલીસ તપાસ શરુ

બનાવની જાણ થતાં જ ડીંડોલી પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. યુવકે આટલું આકરું પગલું શા માટે ભર્યું અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. હાલમાં ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકના પરિવારજનો તથા પરિચિતોની પૂછપરછ હાથ ધરીને વધુ તપાસ આદરી છે. 


આ પણ વાંચો    :     Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?