સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકર્તા જય દલાલની હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રમાં વોચ ગોઠવી મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળ રહી છે. પોલીસે આરોપી સાગર ઉર્ફે નીતીન ઉર્ફે મન્યા ડુક્કર ઉર્ફે એમ.ડી. સંતોષભાઈ સોનવણેને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.

પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળ્યા

આરોપીની ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને હત્યાકાંડમાં તેનો ઉપયોગ થયો હતો કે નહીં તે સહિતની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

GUJCTOC સહિત 21 ગુનાઓ નોંધાયેલા

પકડાયેલા આરોપી સામે અગાઉ પણ GUJCTOC સહિત કુલ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

10 દિવસથી મહારાષ્ટ્રમાં ગોઠવી હતી વોચ

મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રમાં રોકાઈ હતી. પોલીસ દ્વારા સતત વોચ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધી 13 આરોપીઓ ઝડપાયા

જય દલાલ હત્યા કેસમાં અગાઉ કુલ 13 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ તપાસ વધુ મહત્વના તબક્કામાં પહોંચી છે. હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ પૈસાની લેવડદેવડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.  


આ પણ વાંચો    :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ