વલસાડ પોલીસે એક સનસનીખેજ ડબલ મર્ડર કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે અને આ હત્યાકાંડના મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ મામલો ઓનર કિલિંગનો હોવાનું બહાર આવ્યું છે.
ગુમ થવાની ફરિયાદથી હત્યાકાંડ સુધીની કડી
વલસાડ જિલ્લાના લવાછા ગામમાં રહેતા દુખન કપિલ સાવ અને તેમની પત્ની મુન્નીકુમારી 21 સપ્ટેમ્બર, 2025ના રોજ અચાનક ગુમ થઈ ગયા હતા. તેમના સગાએ 24 સપ્ટેમ્બરે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત જ ટેકનિકલ એનાલિસિસ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગુમ થવા પાછળ કોઈ અપરાધિક કાવતરું છે અને તેના તાર મુન્નીકુમારીના પરિવારજનો સાથે જોડાયેલા છે.
લગ્ન અસ્વીકાર્ય બન્યા અને કરાઈ હત્યા
પોલીસ તપાસમાં ખુલ્યું કે મુન્નીકુમારીના પરિવારજનોને આ દંપતીના લગ્ન મંજૂર નહોતા. આ નારાજગીને કારણે મુન્નીકુમારીના ભાઈઓ - રાકેશ, મુકેશ અને અવધેશ દ્વારકાપ્રસાદ સાવ - અને તેમના અન્ય સાથીદારોએ મળીને આ ઘૃણાસ્પદ ગુનો આચર્યો. 21 સપ્ટેમ્બરની રાત્રે, આરોપીઓએ આ દંપતીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યા હતા. યુપીના સોનભદ્ર જિલ્લાના જંગલ વિસ્તારમાં લઈ જઈને આરોપીઓએ બંને પતિ-પત્નીને ગોળી મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બંનેની લાશને અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી. વલસાડ પોલીસે આ કેસનો મુખ્ય આરોપી અને મુન્નીકુમારીના ભાઈ રાકેશને અયોધ્યા ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે બાકીના આરોપીઓને પકડવા અને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કવાયત હાથ ધરી છે. આ હત્યાકાંડના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.










