બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ઢીમા ધરણીધર ભગવાનના મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો વાવ-થરાદ પોલીસ વિભાગે ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની ભીડનો ગેરલાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કર દ્વારા અઢી તોલા સોનાની કિંમતી ચેઈનની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

થરાદ પોલીસની ચપળતા, સીસીટીવી અને બાતમીદારોની મદદથી આરોપી પકડાયો

મંદિરમાં થયેલી ચોરીની ગંભીરતાને ધ્યાને લઈને થરાદ અને વાવ પોલીસની ટીમો મારફતે ગુનાનો સોલ્વ કરવા માટે ખાસ ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ ચકાસી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી શંકાસ્પદ ઈસમો પર નજર રાખી હતી. સઘન તપાસના અંતે પોલીસને ચોરી આચરનાર મુખ્ય આરોપી સુધી પહોંચવામાં મોટી સફળતા મળી હતી.

આરોપી ભગતકુમાર ગૌરજીની ધરપકડ, ચોરાયેલો મુદ્દામાલ જપ્ત

પોલીસે કાર્યવાહી કરીને ચોરીના આ કેસમાં ભગતકુમાર મણીલાલ ગૌરજી નામના શખ્સની અટકાયત કરી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ભીડનો લાભ લઈને સોનાની ચેઈન ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી અઢી તોલા સોનાની ચેઈન (મુદ્દામાલ) સુરક્ષિત રીતે કબજે કરી લીધી છે.

પોલીસની ત્વરિત કામગીરીથી શ્રદ્ધાળુઓમાં રાહત

ઢીમા ધરણીધર જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી ચોરીની ઘટનાનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલાઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને દર્શાનાર્થીઓમાં પોલીસની આ કામગીરી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની પ્રોસેસ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - 28 August Top News: રક્ષાબંધનના પર્વ સાથે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો દેશ-દુનિયાની મોટી ઘટનાઓ