બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ઢીમા ધરણીધર ભગવાનના મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો વાવ-થરાદ પોલીસ વિભાગે ગણતરીના દિવસોમાં સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની ભીડનો ગેરલાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કર દ્વારા અઢી તોલા સોનાની કિંમતી ચેઈનની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
થરાદ પોલીસની ચપળતા, સીસીટીવી અને બાતમીદારોની મદદથી આરોપી પકડાયો
મંદિરમાં થયેલી ચોરીની ગંભીરતાને ધ્યાને લઈને થરાદ અને વાવ પોલીસની ટીમો મારફતે ગુનાનો સોલ્વ કરવા માટે ખાસ ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ ચકાસી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી શંકાસ્પદ ઈસમો પર નજર રાખી હતી. સઘન તપાસના અંતે પોલીસને ચોરી આચરનાર મુખ્ય આરોપી સુધી પહોંચવામાં મોટી સફળતા મળી હતી.
