ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસના પાનામાં ગુમનામીમાં જતાં રહેલા માનગઢ હત્યાકાંડની આજે 112મી વરસીએ આદિવાસીઓમાં દેશપ્રેમની આહલેક જગાવનારા ગુરૂ ગોવિંદને ઝાલોદ તાલુકા પંચાયતના સત્તાધિશો જાણે ભુલી ગયા હોય તેમ જણાયું હતું. તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં મૂકેલી ગુરૂ ગોવિંદની પ્રતિમાને આજના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરવાનું તો ઠીક પરંતુ તેની સફાઈ કરવાની પણ સત્તાધિશોએ દરકાર સુધ્ધા નહીં લેતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


112 વર્ષ પૂર્વે તા.17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢ ખાતે જલિયાવાલા બાગથી પણ મોટો હત્યાકાંડ થયો હતો. જેમાં 1500 જેટલા વીર આદિવાસીઓએ શહીદી વહોરી હતી. જેમાં આદિવાસી મહાનાયક ગુરુ ગોવિંદની પણ ધરપકડ કરવામાં આવી હતી. અંગ્રેજોના અત્યાચારના વિરોધમાં ગુરુ ગોવિંદ દ્વારા વિસ્તારના લોકોને એકજૂટ કરી અને વિવિધ પ્રદર્શનો પણ કરાયા હતા.આજે ઇતિહાસના આ કાળા અધ્યાયની 112મી વરસી છે, ઝાલોદના સત્તાધિશો મહાનાયક ગુરુ ગોવિંદને વિસરી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. તાલુકા પંચાયત કચેરીમાં સ્થિત ગુરુ ગોવિંદની પ્રતિમાને આજના દિવસે પૂષ્પહાર ચઢાવવાની વાત તો દૂર પણ પ્રતિમાની સાફ સફાઈ પણ કરાઈ નથી. ત્યારે માત્ર ચૂંટણી સમયે યાદ કરાતા આદિવાસી મહાનાયકોનુ આવું અપમાન એ ખરેખર નિંદનીય છે.

ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની પણ અવગણના કરવામાં આવી

બે દિવસ પહેલા તા.15 મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતીની ઉજવણી વાજતે ગાજતે કરવામાં આવી હતી. ઝાલોદમાં પણ સંસ્કૃતિ સર્કલ ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ત્યારે ઝાલોદ તાલુકા પંચાયતમાં સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની તે સમયે પણ તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ દરકાર લીધી નહોતી. બિરસા મુંડાની જન્મજયંતીએ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં 6 વર્ષ પહેલા પ્રતિમા મૂકવામાં આવી હતી, પરંતુ હવે આદિવાસી મહાનાયકોની પ્રતિમાની અવગણનાને લઈ સ્થાનિકોમાં છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: