દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અતિશય અસંવેદનશીલ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વડલી ગામ નજીક આવેલી સલિયાટા નદીના કિનારેથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. કોઈ નિષ્ઠુર માતા-પિતા દ્વારા આ માસૂમ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું અનુમાન છે. ઘટનાની વિગત એવી છે કે, સલિયાટા નદી પાસેથી પસાર થઈ રહેલા આસપાસના લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ તરફ ધ્યાન જતાં લોકોએ નદી કિનારે તપાસ કરી, ત્યારે ત્યાં એક નવજાત શિશુ પડ્યું હોવાનું માલુમ પડ્યું હતું. માસૂમ બાળકને ત્યજી દીધેલું જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા.


ફતેપુરામાં નવજાત શિશુ મળી આવ્યું 

તાત્કાલિક ધોરણે આસપાસના લોકોએ આ માનવતા વિહોણી ઘટનાની જાણ ફતેપુરા પોલીસને કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને નવજાત શિશુને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. સદ્ભાગ્યે, હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેની જરૂરી સારવાર ચાલી રહી છે.

આસપાસના લોકોએ પોલીસને જાણ કરી 

જોકે, આ ઘટનાને લઈને વિસ્તારના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. લોકોએ આ કૃત્ય કરનારા માતા-પિતા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે નવજાતને ત્યજી દેનાર માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી આ અમાનવીય કૃત્ય કરનારને કાયદાના સકંજામાં લાવી શકાય.

  • Follow us on: