ડીસા તાલુકાના શેરપુરા કંસારી રોડ પર બુધવારે સાંજના સુમારે રિક્ષા અને બાઈક વચ્ચે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે અન્ય છ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. મૃતક મહિલાના પતિએ મોટરસાયકલ ચાલક વિરૂદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડીસા તાલુકાના શેરપુરા કંસારી માર્ગ પર આવેલા સાંઈ કોલ્ડ સ્ટોરેજ નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં GJ 08 Z 4561 નંબરની એક રિક્ષા અને GJ 08 CF 7514 નંબરના મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર વિનોદભાઈ બળવંતજી ઠાકોરની 22 વર્ષીય પત્ની અનિતાબેનનું જેઓ આશરે પાંચ મહિનાના ગર્ભવતી હતા જેનું ઘટનાસ્થળે જ કરૂણ અવસાન થયું હતું.
આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય છ મુસાફરો જેમાં મેવાભાઈ કાનાજી, લાસુબેન મેવાભાઈ, મણીબેન હમીરભાઈ, પુજાબેન નાગજીભાઈ અને હંસાબેન નાગજીભાઈનો સમાવેશ થાય છે તેમને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અલગ અલગ વાહનોમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ધવલસિંહ પુનમસિંહ રાજપુત રહે.યાવરપુરા, તા.ડીસાવાળાએ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યો હતો. જેના કારણે તેણે રિક્ષાન ડ્રાઈવર સાઈડ તરફથી સામેથી ટક્કર મારી હતી. મોટરસાયકલ ચાલક ધવલસિંહને પણ ઈજાઓ થઈ તેમને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક અનિતાબેન પતિ વિનોદભાઈએ ડીસા પોલીસ સ્ટેશનમાં બાઈક ચાલક ધવલસિંહ પુનમસિંહ રાજપુત વિરૂદ્ધ IPC કલમો હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મૃત્યુ નિપજાવવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










