દેવગઢ બારિયા નગરના નાયકવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવનાર એક દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કેદ થયો હતો. આ દીપડાએ છેલ્લા એક અઠવાડીયામાં પાંચથી છ બકરાઓનું મારણ કર્યું હતું. જેના કારણે સ્થાનિક લોકો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાના પકડાઈ જવાથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા દિવસોમાં 5-6 બકરાનું મારણ કરનાર દીપડો પકડાયો

નાયકવાડા વિસ્તારના રહેવાસીઓ અને પશુપાલકો દ્વારા દીપડાના આંટાફેરા અને પશુઓના મારણ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં એક પાંજરું ગોઠવ્યું હતું. આજે સવારે આ પાંજરામાં આતંક મચાવનાર દીપડો કેદ થયો હતો.

માદા દીપડાની ઉંમર આશરે સાડા 3 વર્ષ

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલો દીપડો માદા છે અને તેની ઉંમર આશરે સાડા ત્રણ વર્ષ જેટલી છે. પાંજરામાં દીપડો પકડાઈ જતાં વન વિભાગને મોટી સફળતા મળી હતી. દીપડો પકડાયા બાદ તેને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીપડાના પકડાઈ જવાથી સ્થાનિક પશુપાલકો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે આશા છે કે આ વિસ્તારમાં અન્ય કોઈ દીપડાનો ભય રહેશે નહીં.