રાજસ્થાનના જયપુર નજીક એક અત્યંત કરૂણ અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બનાસકાંઠાના ધાનેરા પંથકના એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતમાં ધાનેરાની બે મહિલાઓનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
જયપુર અકસ્માતમાં બનાસકાંઠાના 2 લોકોના મોત
ધાનેરાનો એક પરિવાર ઈક્કો ગાડી લઈને રાજસ્થાનમાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થળ ખાટું શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. પરિવાર જે ઈક્કો ગાડીમાં બેઠેલો હતો, તે દરમિયાન બેફામ ગતિએ આવી રહેલા એક ડમ્પરે ઈક્કો ગાડીને જોરદાર ટક્કર મારીને તેની ઉપર ચઢાવી દીધી, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ભયાનકતા ઘણી મોટી હતી. બેફામ બનેલા ડમ્પરે માત્ર ઈક્કો ગાડીને જ નહીં, પરંતુ રસ્તા પર જઈ રહેલા કુલ 17 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ 19 લોકોનો ભોગ લેવાયો હતો (અન્ય એક રિપોર્ટ મુજબ ૧૪ લોકોનાં મોત અને ૧૫થી વધુ ઘાયલ થયા હતા), જેના કારણે હાઇવે પર લાંબા સમય સુધી અંધાધૂંધી સર્જાઈ હતી.










