દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધાર્મિક અને આસ્થાના કેન્દ્ર સમાન દ્વારકાધીશ મંદિર ખાતે આવતા લાખો ભાવિકોની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંદિરની 100મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો અને ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દ્વારકાધીશ મંદિરની સુરક્ષાને લઈને નિર્ણય
આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, દ્વારકાધીશ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. મંદિરની આસપાસ ભિક્ષુકો અને ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ અને ટ્રાફિક વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હતી. વધુમાં, ભિક્ષુકો અને ફેરિયાઓની આડમાં ચોરી અને લૂંટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોવાના બનાવોને પણ રોકવાનો હેતુ છે.
ભિક્ષુકો અને ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ
દ્વારકાધીશ મંદિર વહીવટદાર દ્વારા આ સમસ્યાઓના નિરાકરણ માટે મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર જિલ્લાના પોલીસ અધિક્ષક અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો હકારાત્મક અભિપ્રાય મેળવ્યા બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું બહાર પાડ્યું છે.
વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી
જાહેરનામાની જોગવાઈ મુજબ, દ્વારકાધીશ મંદિર, દ્વારકાની 100મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ ભિક્ષુકો કે ફરતા ફેરિયાઓ તરીકે પ્રવૃત્તિ કરી શકશે નહીં. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા. 12/12/2025 સુધી અમલમાં રહેશે.વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કાયદા મુજબ શિક્ષાને પાત્ર થશે. આ નિર્ણયથી દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને હવે વધુ સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શનનો લાભ મળી શકશે.