ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં આવનારા ફેરફારો અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતા કમોસમી વરસાદનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટશે.


 કમોસમી વરસાદનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટશે

અંબાલાલ પટેલના મતે, આગામી 5 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં, છૂટો-છવાયો વરસાદ થઈ શકે છે. ધીરે ધીરે વાદળો દૂર થતા આકાશ સ્વચ્છ થશે, જેના કારણે હવામાન ખુશનુમા બનશે.આગાહી મુજબ, 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે. આ પવનો ઉત્તર ભારતમાં થનારી હિમવર્ષાના કારણે ફૂંકાશે, જેનાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ઠંડા અને સ્વચ્છ વાતાવરણનો આ સમયગાળો લાંબા સમય માટે રવી પાકો જેવા કે ઘઉં, જીરું, ચણા વગેરેના વાવેતર માટે સારું રહેશે.ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ 15 નવેમ્બરથી જીરા અને ઘઉંના પાકનું વાવેતર શરૂ કરી શકે છે.

જીરાના પાક માટે વિશેષ ચેતવણી

કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં રહેલા ભેજના કારણે જીરાના પાકને નુકસાન થવાની શક્યતા છે. ભેજવાળું વાતાવરણ જીરાના પાકમાં કાળીયો અને ચરમો જેવા રોગોને આમંત્રણ આપી શકે છે. તેથી, ખેડૂતોએ રોગ સામે સંરક્ષણના પગલાં લેવા માટે તૈયારી રાખવી જોઈએ. આમ, ટૂંક સમયમાં જ વરસાદનો માહોલ પૂરો થશે અને ગુજરાતમાં કડકડતી શિયાળુ ઠંડીની સત્તાવાર શરૂઆત થશે, જે રવી પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

  • Follow us on: