કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 815 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.તેમણે જણાવ્યું હતું કે,આજે માણસા અને પ્રાંતિજ મતક્ષેત્રના વિકાસ માટે લગભગ 815 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 89 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અલુવા- સાદરા બ્રિજથી જક્ષિણી માતાજીના મંદિર આસપાસના વિસ્તારમાં પર્યટનને વેગ મળશે અને સ્થાનિકો, વિદ્યાર્થીઓ તથા શ્રદ્ધાળુઓ માટે યાતાયાત સુગમ બનશે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રથી આસપાસના લગભગ 1 લાખથી વધુ ગરીબ અને સામાન્ય નાગરિકોને 24 કલાક ડાયાલિસિસ,ઓપરેશન થિયેટર, NICU અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે

તેમણે ઉમેર્યું હતું કે,માણસાના રાણીયાપુરરા ખાતે કમ્યુનિટી હોલ,અલકાપુરી ખાતે ESR વોટર ટાંકી અને બાપુપુરા ગામ ખાતે સંસ્કાર ભવન ટ્રસ્ટના સુસજ્જ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા નાગરિક સુખાકારીમાં ઉમેરો થશે. આ બેરેજના નિર્માણથી ચરાડા, માણસા, રિદ્રોલ સહિતના વિસ્તારોમાં સાબરમતી નદીનું પાણી 8 મહિના સુધી સંગ્રહિત રહેશે.પરિણામે વિસ્તારમાં ઝડપથી નીચે જઈ રહેલા ભૂગર્ભ જળસ્તરમાં 5 થી 10 ફૂટ સુધીનો વધારો થશે. ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે તેમજ પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે. 

સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર 

માણસા પંથકના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ માટે ગાંધીનગર જવું ન પડે તે માટે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની સાથે આસપાસના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'વિકસિત ગુજરાત'ના માધ્યમથી જ વડાપ્રધાનશ્રીનું 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અલુવા અને સાદરાને જોડતા બ્રિજનું ઇ-લોકાર્પણ થયું છે તે લોકોના વિશ્વાસનો સેતુ બનશે.અલુવા, સાદરા સહિત આસપાસના ગામોના હજારો પરિવારોને સરળ, ઝડપી અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે. 

આ પણ વાંચોઃ