પોરબંદર વિધાનસભા વિસ્તારના પાયાના પ્રશ્નો અને માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા.દિલ્હી ખાતે તેમણેકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સાથે એક ખાસ અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.આ બેઠકમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઈવે નેટવર્ક,ટ્રાફિક સમસ્યાઓ અને ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
NH 51ની બંને બાજુ ડ્રેનેજની માંગ કરી
અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી સમક્ષ વિસ્તારના અતિ મહત્વના માર્ગ અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવે-51 બાયપાસની બંને બાજુ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.આથી NH-51 બાયપાસની બંને તરફ સત્વરે મજબૂત અને કાર્યક્ષમ ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવે.આ ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ અને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન હર્ષદ માતાજી માર્ગ પર પણ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાય છે જેના નિવારણ અર્થે ત્યાં પણ યોગ્ય ડ્રેનેજ લાઈન અને ભૂગર્ભ નિકાલની વ્યવસ્થા ઊભી કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી.
