ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગેની નીતિમાં થતા અલગ-અલગ અર્થઘટનોને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા સાથેનો પરિપત્ર અને નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.નવી માર્ગદર્શિકાના 9 મુખ્ય મુદ્દાઓ અનુસાર,જન્મના દાખલામાંથી બાળકના જૈવિક પિતાનું નામ કોઈ પણ સંજોગોમાં દૂર કરી શકાશે નહીં.જો માતા-પિતા સાથે રહેતા હોય અને પિતાની લેખિત સહમતિ હોય તો જ જરૂરી પુરાવાઓના આધારે બાળક પાછળ માતાનું નામ અને અટક લખી શકાશે.

રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી

જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ અંગે થતા સુધારા-વધારા બાબતે રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી છે.અગાઉ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા રદ કરી તેની જગ્યાએ નવી માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને સૂચના આપવામાં આવી છે.નવા પરિપત્ર મુજબ બાળકના જન્મના દાખલામાં જૈવિક પિતાનું નામ દૂર કરી શકાશે નહીં અને પિતાના નામની કોલમમાં તેમનું નામ ફરજિયાત રહેશે.જોકે,માતા-પિતા બંને બાળક સાથે રહેતા હોય અને પિતાની લેખિત સંમતિ હોય તો જરૂરી દસ્તાવેજોના આધારે બાળકના નામની પાછળ માતાનું નામ તથા અટક રાખી શકાશે.

જરૂરી દસ્તાવેજોના આધારે કાર્યવાહી કરી શકાશે

છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી માતા પાસે હોય તો કોર્ટના હુકમમાં જરૂરી સ્પષ્ટતા હોય ત્યારે જ માતાનું નામ અને અટક ઉમેરવાની મંજૂરી મળશે.ઉપરાંત, બાળકના નામમાં પ્રથમ અટક, ત્યારબાદ નામ અને અંતે પિતાનું નામ કરવાની સુવિધા પણ દસ્તાવેજોના આધારે રહેશે.જન્મ તથા મરણના પ્રમાણપત્રમાં પિતા અથવા પતિનું નામ અથવા અટક તરીકે રાખવું વૈકલ્પિક રહેશે.બંને ન રાખવા માંગતા હોય તો તે પણ શક્ય બનશે.નામ સુધારા માટે સરકારી ગેઝેટ,આધાર, પાનકાર્ડ તથા જરૂરી દસ્તાવેજોના આધારે કાર્યવાહી કરી શકાશે.

આ પણ વાંચોઃ Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ