ગુજરાતમાં ફિક્સ પે નીતિ મુદ્દે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. ભારતીય મઝદૂર સંઘે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ નીતિમાં દેર્વિચારણા કરવા અને ફિક્સ પેનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરવાનો ઉગ્ર માંગણી કરી છે. જો રાજ્ય સરકાર આ નીતિમાં ફેરફાર નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
લાંબા સમયથી ચાલી આવતી ફિક્સ પે નીતિ સામે રોષ
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી થતા કર્મચારીઓને શરૂઆતના વર્ષોમાં ફિક્સ પગાર ધોરણે રાખવામાં આવે છે. આ નીતિના કારણે કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ કરતા ઓછો પગાર મળે છે અને અન્ય ભથ્થાઓનો લાભ પણ મળતો નથી. લાંભા સમયથી આ નીતિ સામે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, અને અનેક સંગઠનો દ્વારા તેમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.
ભારતીય મઝદૂર સંઘની મુખ્ય માંગણીઓ
સંઘનું માનવું છે કે, 5 વર્ષનો સમયગાળો ખૂબ લાંબો છે અને તેનાથી કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે. 2 વર્ષનો સમયગાળો વાજબી અને વ્યાવહારિક છે. ફિક્સ પે નીતિ સમાન કામ માટે અસમાન વેતનનો સિદ્ધાંત અપનાવે છે, જે બંધારણીય રીતે અયોગ્ય છે. જો સરકાર દ્વારા આ માંગણીઓ પર સકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો ભારતીય મઝદૂર સંઘે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે સરકાર પર દબાણ વધ્યું છે.









