ગુજરાત વન વિભાગે વનપાલ (વર્ગ-3)ની ભરતી પ્રક્રિયાના નિયમોમાં મહત્ત્વના ફેરફારો કર્યા છે. આ નવા નિયમ મુજબ હવે ભરતી માટે સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે. અત્યાર સુધી શારીરિક કસોટી (ફિઝિકલ ટેસ્ટ) પહેલા લેવાતી હતી, પરંતુ હવે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે હવેથી લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો જ શારીરિક કસોટી માટે લાયક ગણાશે.


લેખિત પરીક્ષા પાસ કરનારાઓ જ શારીરિક કસોટી માટે લાયક

નવા નિયમ પ્રમાણે, વનપાલ બનવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે. આ ફેરફારથી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને મેરિટ આધારિત બનશે તેવી અપેક્ષા છે. વન વિભાગે આ નિર્ણય લેતા ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા અને જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે, જેથી વનપાલ તરીકે વધુ સક્ષમ અને જાણકાર ઉમેદવારોની પસંદગી થઈ શકે.

20 ટકા વેઈટિંગ લિસ્ટ અને પ્રક્રિયાની પારદર્શિતા

વન વિભાગે વધુ એક મહત્ત્વનો નિર્ણય લેતા ભરતીના કુલ ઉમેદવારોના 20 ટકાનું વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવાનો પણ નિયમ બનાવ્યો છે. આ વેઈટિંગ લિસ્ટ જરૂર પડ્યે ઓપરેટ કરવામાં આવશે, જેનાથી પ્રતીક્ષા યાદીમાં રહેલા ઉમેદવારોને તક મળી શકશે. આ પગલાથી ભરતી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે અને ખાલી જગ્યાઓ ભરાઈ શકશે. વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું આ નોટિફિકેશન ભરતી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવશે.


  • Follow us on: