=ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટી પાસે કથિત રીતે માંગવામાં આવેલી રૂ.25 લાખની ખંડણીના મામલે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલામાં NSUI ના નેતા સુધીર રાવલ સામે યુનિવર્સિટી સંચાલકો પાસેથી જંગી રકમની ખંડણી માંગવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે રાજ્યના વિદ્યાર્થી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ABVP એ આ મુદ્દાને લઈને રસ્તા પર ઉતરી મોરચો માંડ્યો છે.
મહંત સ્વામીએ નોંધાવી પોલીસ ફરિયાદ
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીના મહંત સ્વામી દ્વારા કલોલ પોલીસ મથકે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે NSUI નેતા સુધીર રાવલે યુનિવર્સિટી પાસે રૂ.25 લાખની ગેરકાયદે ખંડણીની માગણી કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓને બ્લેકમેઇલ કરી ખંડણી ઉઘરાવવાના આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ ABVP ના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને NSUI તથા તેના નેતા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કડક વિરોધ નોંધાવ્યો હતો.
