ગાંધીનગરના વિરાતલાવડીમાં વીજતંત્રની લાલિયાવાડીની વધુ એક ઘટના ગત રાત્રે બની હતી. ગઈ રાતે જીવંત વિજવાયર તુટી પડવાની ઘટના બની હતી, પરંતુ વીજતંત્રના પેટનુ પાણી હલ્યુ નહોતુ.આવી ગંભીર ઘટનામાં જિલ્લા કલેક્ટર ગ્રામજનોના વહારે આવ્યા હતા અને તાત્કાલીક તંત્રને સુચના આપતા વીજઅધિકારીઓ સહીતનુ વહીવટી તંત્ર દોડતુ થયુ હોવાની વિગતો છે. નાયબ કાર્યપાલક ઇજનેરે આવી ગંભીર ઘટનામાં પણ ગ્રામજનોનો ફોન ઉપાડવાની તસ્દી લીધી ના હોવાના આક્ષેપ કરાયા હતા. આ અંગેની રજુઆત સીધી જ કલેક્ટરને કરવામાં આવ્યા બાદ તંત્ર દોડતુ થયુ હતુ. જીવંત વીજવાયરને બાદમાં તાત્કાલીક રીપેર કરાયો હતો.
વિરાતલાવડીમાં ગત રાત્રે એક વીજ વાયર તુટી પડયો હતો. વીજવાયર તુટી પડયા બાદ તેમાંથી રીતસર ઘુમાડા નીકળતા હતા. જીવંત વાયર હોવાથી ગ્રામજનોમાં ડરનો માહોલ હતો. આ ઘટનાથી જાનહાની પણ થઇ શકે એવી સ્થિતી હતી. ચાલુ વીજલાઇન બંધ કરાવા માટે ગ્રામજનો અને પુર્વ સરપંચ ચંદ્રેશ પરમારે ચિલોડા નાયબ કાર્યપાલક ઇજનેરને ફોન કર્યા હતા પરંતુ આ મહાશય અધિકારીએ એકપણ ફોન ઉપાડયા નહતા. ચંદ્રેશ પરમારે જણાવ્યુ હતુ કે રાત્રે ચિલોડા નાયબ કાર્યપાલક ઇજનેરે એકપણ ફોન નહી ઉપાડતા જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો હતો. કલેક્ટરે તાત્કાલીક સુચના આપતા વીજ તંત્ર સહીતના અધિકારીઓ દોડયો હતા અને તૂટી પડેલી વીજ લાઈનને તાત્કાલીક ફીટ કરી હતી. કલેક્ટરે ગ્રામજનોની રજુઆત મુદ્દે કામ હાથ ધરવાના આદેશ આપતા ગ્રામજનોને રાહત થઇ હતી. ગ્રામજનોમાં વીજતંત્રની આવી લાલિયાવાડી સામે ભારે રોષ ફેલાયો છે અને અવારનવાર વિરાતલાવડીમાં વીજ સમસ્યાઓ સર્જાતી હોવાથી લોકો હેરાન છે.










