ગુજરાતના GST કાયદામાં મહત્વના સુધારા માટેનું વિધેયક ગાંધીનગરમાં મળેલી ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. 56મી GST કાઉન્સિલની ભલામણોના આધારે કરવામાં આવેલા આ સુધારાનો મુખ્ય હેતુ વેપાર-ઉદ્યોગ માટે Ease of Doing Businessને વધુ પ્રોત્સાહન આપવાનો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં GST સુધારા વિધેયક રજૂ કર્યું હતું.
નાના વેપારીઓને હવે માત્ર 3 દિવસમાં GST નોંધણી?
સુધારા બાદ નાના વેપારીઓ માટે GST નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી અને ફેસલેસ બનશે. ફેસલેસ સિસ્ટમથી માત્ર 3 દિવસમાં GST નોંધણી અને પ્રમાણપત્ર મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી વેપારીઓને સરકારી કચેરીઓમાં થતી દોડધામ અને પ્રક્રિયામાં લાગતો સમય ઘટશે.
નિકાસકારોને 7 દિવસમાં 90% રિફંડ
નિકાસ ક્ષેત્ર માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. નિકાસના કિસ્સામાં 7 દિવસમાં 90% પ્રોવિઝનલ રિફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી નિકાસકારોની નાણાકીય જરૂરિયાતો અને કેશ ફ્લોમાં રાહત મળવાની શક્યતા છે.
ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટની પ્રક્રિયા પણ સરળ
વેચાણ બાદ આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટ સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ અને વ્યવહારુ બનાવવામાં આવશે. આથી વેપારીઓ માટે GST સંબંધિત હિસાબી અને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહેશે.
રૂ.1,000ની રિફંડ મર્યાદા પણ દૂર કરાશે
નિકાસ કરાયેલા માલના રિફંડ માટે લાગુ પડતી રૂ.1,000ની મર્યાદા દૂર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ફેરફારથી નાના નિકાસકારોને પણ રાહત મળવાની શક્યતા છે.
GST સુધારાથી વેપાર કરવો કેટલો સરળ બનશે?
આ સમગ્ર સુધારાનો ઉદ્દેશ્ય GST વ્યવસ્થાને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવવાનો છે. સરકારના જણાવ્યા મુજબ, ઝડપી નોંધણી, સમયસર રિફંડ અને સરળ ક્રેડિટ નોટ પ્રક્રિયાથી વેપાર-ઉદ્યોગ માટે Ease of Doing Businessને વધુ વેગ મળશે.
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું