PM નરેન્દ્ર મોદીના આગામી 17 સપ્ટેમ્બરના રોજ આવતા જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનના સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશભરમાં વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. આ વિશેષ ઉજવણીના આયોજન અને રોડમેપ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે દિલ્હી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી રવાના થશે

દિલ્હીમાં યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી જશે. આવતીકાલે બપોરે 2:00 વાગ્યે દિલ્હી ખાતે આ બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ, નાયબ CM હર્ષ સંઘવી તેમજ ભાજપ સંગઠન મહામંત્રી સહિતના અગ્રણી નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના સંગઠન પદાધિકારીઓ પણ હાજર રહીને ઉજવણીની રૂપરેખા અંગે વિગતવાર મંથન કરશે.

દેશભરમાં ભાજપ દ્વારા સેવાકીય અને વિશેષ કાર્યક્રમોનું આયોજન

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષની ઉજવણી નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં વ્યાપક સ્તરે કાર્યક્રમો યોજવામાં આવશે. આ અંતર્ગત રક્તદાન શિબિરો, સેવા પખવાડિયું, આરોગ્ય તપાસ કેમ્પ તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. દિલ્હીની બેઠકમાં ગુજરાત સહિત તમામ રાજ્યોમાં આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંગઠનાત્મક જવાબદારીઓ વહેંચવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot સિવિલમાં મહિલા ડોક્ટર સાથે ગેરવર્તન મામલે કાર્યવાહી, ડોક્ટર અશ્વિન રામાણીની બદલી