PM નરેન્દ્ર મોદીના આગામી 17 સપ્ટેમ્બરના રોજ આવતા જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનના સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશભરમાં વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. આ વિશેષ ઉજવણીના આયોજન અને રોડમેપ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે દિલ્હી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી રવાના થશે
દિલ્હીમાં યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી જશે. આવતીકાલે બપોરે 2:00 વાગ્યે દિલ્હી ખાતે આ બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ, નાયબ CM હર્ષ સંઘવી તેમજ ભાજપ સંગઠન મહામંત્રી સહિતના અગ્રણી નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના સંગઠન પદાધિકારીઓ પણ હાજર રહીને ઉજવણીની રૂપરેખા અંગે વિગતવાર મંથન કરશે.
