અમિયાપુરની વેચાયેલી જમીન અન્યોને વેચી દેવાના મામલે મુળ ખેડૂતો સહિત 15 શખસો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જમીન ખરીદનાર ખેડૂતે જમીનના તમામ હિસ્સાના દસ્તાવેજો કરાવવાની કાર્યવાહી ચાલતી હોય તેઓએ વેચાણ દસ્તાવેજની નોંધ પડાવી નહતી. જેનો ખેડૂતોએ લાભ ઉઠાવ્યો હતો અને જમીન ખરીદનાર ખેડૂતને અંધારામાં રાખી અન્યને જમીન બારોબાર વેચી દીધી હતી. જે મામલે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
ચાંદખેડા ખાતે રહેતા જાગૃતિબેન અંબાલાલ પટેલે અડાલજ પોલીસ મથકમાં શકરીબેન ગલાબજી ઠાકોર (રહે. મોટી ભોયણ, કલોલ), કેશીબેન ગલાજી ઠાકોર (રહે. નધરાડ, સાણંદ), કાળીબેન હવજીજી ઠાકોર (રહે. ચરાડા, માણસા), ખોડાજી ગલાબજી ઠાકોર (રહે. અમિયાપુર), હંસાબેન ગલાબજી ઠાકોર (અમિયાપુર), લીલાબેન હવજીજી ઠાકોર, પ્રહલાદજી વિહાજી ઠાકોર, લસીબેન વિહાજી ઠાકોર, ધુળીબેન વિહાજી ઠાકોર, જીવતબેન કાન્તીજી બબાજીની વિધવા, રતીલાલ કાન્તિજી ઠાકોર, બુધાજી કાન્તીજી ઠાકોર, વજાજી કાન્તિજી ઠાકોર (તમામ રહે. અમિયાપુર), દેવેન્દ્ર પ્રવિણચંદ્ર પટેલ (સ્વરાજ બંગલો અમદાવાદ), જ્યોત્સનાબેન પ્રવિણચંદ્ર પટેલ ( સ્વરાજ બંગલો, અમદાવાદ) પ્રદિપ લુધ્રામલ દેવાણી (કુજડ, દસક્રોઇ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે અમિયાપુરના ખેડૂતો પાસેથી વર્ષ 2008ની સાલમાં જમીન ખરીદી હતી. આ જમીનનો દસ્તાવેજ પણ થયો હતો. પરંતુ ખેડૂતોના તમામ હિસ્સાના દસ્તાવેજોની કામગીરી શરૂ હોય તેઓએ દસ્તાવેજની નોંધ પડાવી નહતી. જેના કારણે જમીન વેચાણ આપી હોવા છતા મુળ ખેડૂતોના રેવન્યુ રેકર્ડમાં નામ હતા. આ નામનો લાભ ઉઠાવીને તેઓએ ઉપરોક્ત જમીન પ્રદિપ દેવાણી તથા દેવેન્દ્ર પ્રવિણચંદ્ર પટેલને વેચાણ આપી હતી. જેથી પોતે છેતરાયા હોવાનું જાણ થતા તેઓએ આ મામલે કલેક્ટર અને ગાંધીનગર પોલીસને ફરિયાદ કરી હતી.










