ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા દ્વારા 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક' ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સુધારા લાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી સરકાર દ્વારા આ વિસ્તૃત ફેરફારો સાથેનું બિલ લાવવામાં આવ્યું છે. આ વિધેયક મારફતે ખાસ કરીને શિક્ષણ બોર્ડની મંજૂરી મેળવ્યા વિના મનસ્વી રીતે ચાલતી ખાનગી શાળાઓ સામે કાયદાકીય સકંજો કસવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
15 લાખ સુધીનો દંડ અને 2 વર્ષની જેલની કડક જોગવાઈ
નવા શિક્ષણ સુધારા વિધેયકમાં ગેરરીતિ આચરતી અને બોર્ડના નિયમોનું અનાદર કરતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં રૂપે દંડની રકમમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળા સંચાલકો સામે રૂપિયા 15 લાખ સુધીનો ભારે દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ શાળા સંચાલક હવેથી પૂર્વ નોટિસ આપ્યા વગર અચાનક શાળાઓ બંધ કરી શકશે નહીં, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગાડતા અટકાવી શકાય.
