નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ માટે આવવાના છે.વડાપ્રધાનના આગમનની તારીખ નક્કી થતાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની આ મુલાકાતને લઈને વિધાનસભાના સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા સત્રની તારીખોમાં ફેરફાર
ગત 3જી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત વિધાનસભાના નવમાં સત્રને તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ આજરોજ મહામહિમ રાજ્યપાલે તેમના તારીખ 03 ઓગસ્ટ,2026નાં રોજના આહવાનને રદ કરી આજે નવું આહવાન કર્યું છે. હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર તા. 9મી સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહવાન કર્યું છે. હવે નવમું સત્ર તા. 9,10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી તા. 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો અધ્યક્ષ શંકરચૌધરીએ નિર્ણય કર્યો છે.
