નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ માટે આવવાના છે.વડાપ્રધાનના આગમનની તારીખ નક્કી થતાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની આ મુલાકાતને લઈને વિધાનસભાના સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

ગુજરાત વિધાનસભા સત્રની તારીખોમાં ફેરફાર

ગત 3જી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત વિધાનસભાના નવમાં સત્રને તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ આજરોજ મહામહિમ રાજ્યપાલે તેમના તારીખ 03 ઓગસ્ટ,2026નાં રોજના આહવાનને રદ કરી આજે નવું આહવાન કર્યું છે. હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર તા. 9મી સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહવાન કર્યું છે. હવે નવમું સત્ર તા. 9,10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી તા. 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો અધ્યક્ષ શંકરચૌધરીએ નિર્ણય કર્યો છે. 

જીતુ વાઘાણી વિધાનસભામાં આ વિધેયક રજૂ કરશે

આગામી વિધાનસભાના સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિશેષ અભ્યાસ અર્થે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના અંગેનું વિધેયક લાવવામાં આવશે.રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વિધાનસભા ગૃહમાં આ વિધેયક રજૂ કરશે.આ યુનિવર્સિટીની સ્થાપના થવાથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંશોધન અને શિક્ષણને નવો આયામ મળશે.યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ ડિપ્લોમા, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી મુક્ત, ઝીરો બજેટ ખેતી અને દેશી પદ્ધતિઓ પર આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંશોધન થશે.

આ પણ વાંચોઃ Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો