ગુજરાતના બાળકોને સુરક્ષિત ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વધુ એક મહત્વની અને સંવેદનશીલ પહેલ કરી રાજ્યમાં ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ 2026 જાહેર કરી છે. મુખ્યમંત્રીનાં માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ.મનીષા વકીલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ 2026 જાહેર કરવામાં આવી છે.આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં એવું સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો છે કે જ્યાં દરેક બાળક હિંસા,શોષણ,દુર્વ્યવહાર,ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત રહી પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરી શકે.
વાંધા સૂચનોને પણ સરકારે ધ્યાનમાં લીધા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગત તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક જાહેરનામા મુજબ આ નીતિ રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી ગઈ છે.નીતિ તૈયાર કરતા અગાઉ તેના મુસદ્દા અંગે મળેલા વાંધા સૂચનોને પણ સરકારે ધ્યાનમાં લીધા છે.POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા, રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના વિવિધ કાયદાકીય અને નીતિગત માળખાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.
દરેક બાળકને સુરક્ષિત અને ગૌરવપૂર્ણ બાળપણ આપવાનું લક્ષ્ય
નવી નીતિનો અભિગમ માત્ર કોઈ ઘટના બન્યા પછી કાર્યવાહી કરવાનો નથી,પરંતુ બાળ સુરક્ષાને નિવારણ, સમયસર ઓળખ, તાત્કાલિક પ્રતિભાવ, પુનર્વસન અને પુનઃસમાવેશન સાથે જોડીને એક વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાનો છે. સરકારનું સ્પષ્ટ ધ્યેય એવા સમાજનું નિર્માણ કરવાનું છે કે જેમાં દરેક બાળક સલામત, આદરણીય, સુરક્ષિત અને અધિકારસંપન્ન હોય. બાળકને સુરક્ષા સાથે શિક્ષણ, આરોગ્ય, સર્વાંગી વિકાસ અને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર પણ મળે તે સુનિશ્ચિત કરવાની દિશામાં નીતિ ઘડવામાં આવી છે.આ નીતિમાં ધર્મ, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અથવા ભૌગોલિક વિસ્તારના આધારે કોઈ ભેદભાવ વિના તમામ બાળકોને બાળ સંરક્ષણ સેવાઓનો સમાન લાભ મળે તે બાબતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
બાળ સુરક્ષા હવે માત્ર એક વિભાગની જવાબદારી નહીં
આ નીતિની સૌથી ખાસ બાબત એ છે કે બાળ સંરક્ષણને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી તરીકે જોવામાં આવ્યું છે. નીતિનો વ્યાપ સરકારી વિભાગો અને સરકારી એજન્સીઓ પૂરતો મર્યાદિત નથી. તેમાં સ્થાનિક સંસ્થાઓ, NGO, નાગરિક સમાજ, કૉર્પોરેટ અને વેપારી ગૃહો, ઉદ્યોગો, મીડિયા સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, બાળ સંભાળ સંસ્થાઓ તેમજ બાળકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતી વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આથી બાળ સુરક્ષાને એક સંકલિત સામાજિક જવાબદારીનું સ્વરૂપ મળશે અને બાળકો સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન ઊભું થઈ શકશે.
સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા બાળકો માટે વિશેષ સુરક્ષા
નીતિમાં સમાજના વધુ સંવેદનશીલ વર્ગોના બાળકોને વિશેષ રીતે આવરી લેવામાં આવ્યા છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો, દિવ્યાંગ બાળકો, સ્થળાંતરિત બાળકો, અનાથ બાળકો, અનુસૂચિત જાતિ-જનજાતિના બાળકો, વંચિત સમુદાયોના બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિત બાળકો, શેરીમાં રહેતા બાળકો તેમજ સંસ્થાકીય અને વૈકલ્પિક સંભાળમાં રહેતા બાળકો માટે સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો, HIV/AIDS અથવા લાંબી બીમારીથી પ્રભાવિત બાળકો, કુદરતી આફતથી અસરગ્રસ્ત બાળકો તથા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોને પણ નીતિના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.
શાળા,હૉસ્પિટલથી લઈને જાહેર સ્થળો સુધી બાળ સુરક્ષિત વાતાવરણ
રાજ્ય સરકાર હવે બાળકો જ્યાં રહે છે, ભણે છે, સારવાર મેળવે છે અથવા સેવાઓ મેળવે છે, તેવા તમામ સ્થળોને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ વધશે. નીતિ હેઠળ બાળ-સુરક્ષિત શાળાઓ, બાળ-સુરક્ષિત આરોગ્યસંભાળ સુવિધાઓ, બાળ-સુરક્ષિત બાળ સંભાળ સંસ્થાઓ, બાળ-સુરક્ષિત કાર્યસ્થળો, બાળ-સુરક્ષિત ડિજિટલ વાતાવરણ અને બાળ-સુરક્ષિત જાહેર સ્થળોને પ્રોત્સાહન આપવામાં આવશે.સરકારનો અભિગમ સ્પષ્ટ છે કે બાળકની સુરક્ષા માત્ર ઘર કે શાળા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ બાળક જ્યાં પણ જાય ત્યાં સુરક્ષિત વાતાવરણ તેની સાથે રહે.
આ પણ વાંચોઃ Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ