ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફાર્મસી અધિનિયમ 1948ની જોગવાઈઓ હેઠળ રચાયેલી આ કાઉન્સિલની કાર્યપ્રણાલી કાયદાકીય નિયમોનું ચુસ્ત અમલીકરણ કરે છે.તેથી ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ ઈચ્છતા ઉમેદવારોએ પ્રવેશ લેતા પહેલાં તમામ નિયમોની ચકાસણી કરવી આવશ્યક છે.
ધોરણ-12ની પરીક્ષા સરકાર માન્ય બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ
અધિનિયમની જોગવાઈઓ અનુસાર, ડીપ્લોમા-ઇન-ફાર્મસી અથવા ડીગ્રી ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-12 સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી ફરજિયાત છે.આ બાબતે ખાસ સ્પષ્ટતા કરવામાં આવે છે કે વિદ્યાર્થીએ ધોરણ-12ની પરીક્ષા સરકાર માન્ય બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ.જો કોઈ વિદ્યાર્થી અમાન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરીને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવશે, તો તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજીસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહી.ધોરણ-12 ના પરિણામો જાહેર થયા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ સ્પર્ધા જોવા મળે છે.
