ગુજરાત સરકારે માવઠાને કારણે પાક નુકસાનીનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતો માટેનું ઐતિહાસિક ગણાતું 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ પેકેજને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમ વાર આ ઐતિહાસિક પેકેજ જાહેર કરાયું છે.
251 તાલુકાના 16,500થી વધુ ગામોમાં નુકસાન
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, આ વખતે વધુ પ્રમાણમાં વરસાદ થયો છે. 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સરવે 5100 ટીમોએ હાથ ધર્યો હતો. કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ૩ દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવા આદેશ અપાયો હતો.













