ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અને ભાજપ નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને રાજ્યની ખાતર વિતરણ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરવાની ઉગ્ર માંગ કરી છે.તેમણે સાબરકાંઠા અને નવસારી જિલ્લાના ખેડૂતોની વેદનાને પત્રમાં વાચા આપતા જણાવ્યું છે કે વર્તમાન વ્યવસ્થાના કારણે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
એક ગામથી બીજે ગામ ભટકવાનો વારો આવ્યો
રમણલાલ વોરાએ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી રાસાયણિક ખાતરની ઓનલાઈન પ્રણાલી સામે મોટા સવાલો ઉઠાવ્યા છે.તેમણે દાવો કર્યો છે કે ચોમાસાની ચાલુ સીઝનમાં આ જટિલ ઓનલાઈન પ્રક્રિયાના કારણે ખેડૂતોને સમયસર ખાતર મળી રહ્યું નથી અને વિતરણમાં મોટો વિલંબ થઈ રહ્યો છે.જેના કારણે ખેતીની મુખ્ય સીઝન દરમિયાન ખેડૂતોને ખાતર મેળવવા માટે એક ગામથી બીજે ગામ ભટકવાનો વારો આવ્યો છે જે અત્યંત ચિંતાજનક બાબત છે.
