ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય અને ભાજપ નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને રાજ્યની ખાતર વિતરણ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરવાની ઉગ્ર માંગ કરી છે.તેમણે સાબરકાંઠા અને નવસારી જિલ્લાના ખેડૂતોની વેદનાને પત્રમાં વાચા આપતા જણાવ્યું છે કે વર્તમાન વ્યવસ્થાના કારણે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

એક ગામથી બીજે ગામ ભટકવાનો વારો આવ્યો

રમણલાલ વોરાએ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી રાસાયણિક ખાતરની ઓનલાઈન પ્રણાલી સામે મોટા સવાલો ઉઠાવ્યા છે.તેમણે દાવો કર્યો છે કે ચોમાસાની ચાલુ સીઝનમાં આ જટિલ ઓનલાઈન પ્રક્રિયાના કારણે ખેડૂતોને સમયસર ખાતર મળી રહ્યું નથી અને વિતરણમાં મોટો વિલંબ થઈ રહ્યો છે.જેના કારણે ખેતીની મુખ્ય સીઝન દરમિયાન ખેડૂતોને ખાતર મેળવવા માટે એક ગામથી બીજે ગામ ભટકવાનો વારો આવ્યો છે જે અત્યંત ચિંતાજનક બાબત છે.

અપૂરતા વરસાદથી 30 ટકા વાવણી થઈ શકી

પત્રમાં વધુમાં જણાવાયું છે કે,ચાલુ વર્ષે હજુ સુધી અપૂરતો વરસાદ થયો હોવાના કારણે સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં માંડ 30 ટકા જેટલી જ વાવણી થઈ શકી છે. આવા કપરા સમયે ખેડૂતોને ઓનલાઈન પ્રક્રિયાના ચક્કરમાંથી મુક્તિ આપવી જરૂરી છે.રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને ખાસ વિનંતી કરી છે કે સાબરકાંઠાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તેમને આ ઓનલાઈન પ્રણાલીમાંથી મુક્તિ આપવામાં આવે અને જૂની પદ્ધતિથી સરળતાથી ખાતર મળી રહે તેવી વૈકલ્પિક વ્યવસ્થા તાકીદે ગોઠવવામાં આવે.

આ પણ વાંચોઃ Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા