ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા) દ્વારા નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને પીવાના પાણી અંગે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ આસપાસના 22 જેટલા ગામોના લોકોને હવે એકદમ શુદ્ધ અને જંતુમુક્ત પીવાનું પાણી મળી રહેશે. પાણી જન્ય રોગોચાળો અટકાવવા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે તંત્ર દ્વારા આ આધુનિક ટેકનોલોજી અપનાવવાનું નક્કી કરાયું છે.
ટાંકીઓમાં ઇન્સ્ટોલ કરાશે ઓટોમેટિક ક્લોરિનેશન સિસ્ટમ
આ પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરેલા તમામ 22 ગામોની પાણીની મુખ્ય ટાંકીઓમાં આધુનિક ‘ઓટો ડોઝિંગ સિસ્ટમ’ (Auto Dosing System) ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે પાણીના જથ્થા અને જરૂરિયાત મુજબ ઓટોમેટિક રીતે જ ક્લોરિનની યોગ્ય માત્રા સેટ કરી દેશે. અત્યાર સુધી મેન્યુઅલી (હાથથી) ક્લોરિન નાખવામાં આવતું હતું, જેમાં ક્યારેક માત્રા ઓછી-વધારે થવાનું જોખમ રહેતું હતું, પરંતુ હવે આ ઓટો સિસ્ટમથી ચોક્કસ પ્રમાણમાં જ ક્લોરિનેશન થશે.
