ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા) દ્વારા નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને પીવાના પાણી અંગે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ આસપાસના 22 જેટલા ગામોના લોકોને હવે એકદમ શુદ્ધ અને જંતુમુક્ત પીવાનું પાણી મળી રહેશે. પાણી જન્ય રોગોચાળો અટકાવવા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે તંત્ર દ્વારા આ આધુનિક ટેકનોલોજી અપનાવવાનું નક્કી કરાયું છે.

ટાંકીઓમાં ઇન્સ્ટોલ કરાશે ઓટોમેટિક ક્લોરિનેશન સિસ્ટમ

આ પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરેલા તમામ 22 ગામોની પાણીની મુખ્ય ટાંકીઓમાં આધુનિક ‘ઓટો ડોઝિંગ સિસ્ટમ’ (Auto Dosing System) ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે પાણીના જથ્થા અને જરૂરિયાત મુજબ ઓટોમેટિક રીતે જ ક્લોરિનની યોગ્ય માત્રા સેટ કરી દેશે. અત્યાર સુધી મેન્યુઅલી (હાથથી) ક્લોરિન નાખવામાં આવતું હતું, જેમાં ક્યારેક માત્રા ઓછી-વધારે થવાનું જોખમ રહેતું હતું, પરંતુ હવે આ ઓટો સિસ્ટમથી ચોક્કસ પ્રમાણમાં જ ક્લોરિનેશન થશે.

ઓનલાઈન ડેશબોર્ડ દ્વારા કરાશે સેન્ટ્રલાઈઝ્ડ મોનિટરિંગ

ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ સાથે આ સમગ્ર ઓટો ડોઝિંગ સિસ્ટમનું ઓનલાઈન ડેશબોર્ડના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવશે. મનપાના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી જ કઈ ટાંકીમાં કેટલા પ્રમાણમાં ક્લોરિન મિક્સ થઈ રહ્યું છે અને પાણીની શુદ્ધતાનું સ્તર કેવું છે, તેનું જીવંત નિરીક્ષણ કરી શકશે. આ ઓનલાઈન મોનિટરિંગ વ્યવસ્થાને કારણે સિસ્ટમમાં કોઈ ખામી સર્જાશે તો તેનો ત્વરિત નિકાલ લાવી શકાશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને 24 કલાક શુદ્ધ પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી શકાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો