ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં ભાડાના મકાનમાં એકલી રહેતી અમદાવાદ પોલીસની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં આસપાસના સ્થાનિક રહીશોએ શંકાના આધારે તપાસ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.

સેક્ટર-૩ડીમાં મહિલા પોલીસ કર્મીનો આપઘાત

બનાવની જાણ થતાં જ ગાંધીનગર સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનનો દરવાજો ખોલી તપાસ કરતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવતી ડિવોર્સી હતા અને તેઓ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ ગાંધીનગર સેક્ટર-૩ડી ખાતે ભાડાનું મકાન રાખીને રહેતા હતા.

ઘરમાંથી મૃતદેહ મળતા તપાસ શરૂ

યુવતીએ કયા માનસિક તણાવ કે કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું કારણ હાલ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકઠા કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી