ગુજરાતમાં દિવાળીના તહેવાર પૂર્વે રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration - FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.


ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્યવ્યાપી દરોડા

તાજેતરમાં તારીખ 03 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે રૂપિયા 41 લાખની કિંમતના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઝુંબેશની મુખ્ય વિગતો,જપ્ત કરાયેલો જથ્થો, 8,684 કિલો, નાશ કરાયેલો જથ્થો, 2,861 કિલો અખાદ્ય ચીજ-વસ્તુઓ, નાશ કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત, રૂ. 41 લાખ.

2,861કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે કે, રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોના ચેકિંગને સઘન બનાવવાનો છે. તહેવારોની સીઝન હોવાથી મીઠાઈઓ, ફરસાણ અને અન્ય ખાદ્ય ચીજોની માંગ વધે છે, ત્યારે ભેળસેળની શક્યતા પણ વધી જાય છે. નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં પણ આ પ્રકારની ચેકિંગની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

  • Follow us on: