ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ યુવાનો અને એક મહિલા સહિત કુલ ચાર લોકોનું વિદેશમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. અપહરણ કરાયેલા લોકોમાં અજય, પ્રિયા, અનિલ અને નિખિલ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિઓ 19 ઓક્ટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા.
માણસાના 4 લોકો વિદેશમાં ફસાયા
પરંતુ તેમનો પ્રવાસ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચવાને બદલે એક ષડયંત્રમાં ફેરવાઈ ગયો હતો. તેમને અમદાવાદથી પ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને દિલ્હીથી બેંગકોક, દુબઈ અને તહેરાન એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. તહેરાન એરપોર્ટથી તેમને ટેક્સીમાં લઈ જઈને અપહરણ કરી લેવામાં આવ્યું હતું.માણસાના આ 3 યુવાનો અને મહિલાનું અપહરણ કરનારા ગેંગ દ્વારા હવે તેમના પરિવારો પાસેથી કરોડો રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે. આ ગંભીર ઘટનાથી ચારેયના પરિવારો ભય અને ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.










