ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં જંગલ છોડીને સિંહણ માનવ વસાહતમાં આવી ચડી હોવાની એક ઘટના સામે આવી છે. પાતાપુર ગામમાં ધોળા દિવસે એક સિંહણ લટાર મારતી જોવા મળતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સિંહણ ગામની ગલીઓમાં ફરતી જોવા મળી હતી. પાતાપુર ગામમાં ઝરમર વરસાદ વચ્ચે સિંહણ અચાનક ગામમાં આવી ચડી હતી.


સિંહણ ગામમાં ઘૂસતા ભયનો માહોલ

સિંહણને ધોળા દિવસે અને ખુલ્લામાં ફરતી જોઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગામના લોકોએ તાત્કાલિક પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને છત પરથી સિંહણની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહણ ખૂબ જ શાંતિપૂર્વક ગામની અલગ અલગ ગલીઓમાં લટાર મારી રહી છે. આ ઘટના પશુઓ અને માનવ વસાહત વચ્ચેના સંઘર્ષની વાસ્તવિકતા દર્શાવે છે.

સિંહણની લટારનો વીડિયો વાયરલ

ચોમાસાની ઋતુમાં જ્યારે જંગલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે પ્રાણીઓ સુરક્ષિત જગ્યાની શોધમાં માનવ વસાહતો તરફ આવી જતા હોય છે. આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવન અને માનવ વસાહત વચ્ચેના સહઅસ્તિત્વના મુદ્દા પર ધ્યાન દોર્યું છે.


  • Follow us on: