ગીરસોમનાથ જિલ્લામાં આવેલા કાજલી ગામ નજીક હિરણ નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં સરકાર દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું ન હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ ગંભીર મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આજે બ્રિજની મુલાકાત લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "આ બ્રિજના સમારકામ માટે મેં અનેકવાર સરકારમાં રજૂઆતો કરી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સરકારનું પેટનું પાણી પણ હલતું નથી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "જો ભવિષ્યમાં આ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે."
બ્રિજના સમારકામની કામગીરી કરવાની માંગ
હિરણ નદી પરનો આ બ્રિજ આસપાસના અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ છે અને તેના પરથી રોજબરોજ હજારો વાહનો પસાર થાય છે. બ્રિજની જર્જરિત હાલત જોતા કોઈ પણ સમયે મોટી હોનારત સર્જાઈ શકે છે, જેના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ધારાસભ્ય ચુડાસમાના આકરા નિવેદનથી સરકાર પર દબાણ વધ્યું છે. સ્થાનિક લોકો પણ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.









