વેરાવળ શહેરમાં છેલ્લા સાડાચાર વર્ષથી અધૂરા પડેલા બે ઓવરબ્રિજના પ્રશ્ને આખરે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. સમગ્ર મામલે રજૂઆત બાદ રાજ્ય કક્ષાના અધિકારી કમિશનર રમૈયા મોહને વેરાવળ દોડી આવીને અધૂરા બ્રિજની સ્થળ પર જઈને સાઈટ વિઝિટ કરી હતી. સ્થળ તપાસ બાદ તેમણે GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના અધિકારીઓને ઓવરબ્રિજની બાકી રહેલી તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે અત્યંત કડક તાકીદ કરી છે.
નગરજનોની હાલાકીનો આવશે અંત
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે CM ને રૂબરૂ મળીને આ વિલંબિત પ્રોજેક્ટ અંગે વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી. દોઢ વર્ષના નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ થવાનું કામ સાડાચાર વર્ષનો સમય વીતી ગયા બાદ પણ અધૂરું રહેતાં સ્થાનિક નગરજનો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. CM કક્ષાએથી સૂચના મળતાં જ તંત્ર દોડતું થયું છે.
