ગોધરા શહેરના બામરોલી રોડ સ્થિત વૃંદાવન નગર-2માં રહેણાંક મકાનમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા હતાં. પ્રાથમિક જાણકારી મુજબ મકાનમાં એ.સી.માં શોર્ટસર્કિટના કારણે લાગેલી આગના કારણે વુડન ફ્ર્નિચર સળગતા આગ વધુ પ્રસરી હતી. બંધ મકાનમાં ભારે માત્રામાં ધુમાડો થતાં સમગ્ર મકાનમાં ઝેરી વાયુ ફેલાઈ જતાં ઓકિસજનનું પ્રમાણ ઘટી જતાં અને મકાનના બારી - દરવાજા સંપૂર્ણ બંધ હોવાથી મકાનમાં રહેલા માતા - પિતા અને બંને પુત્રોના શ્વાસ રૂંધાઈ જવાથી ગૂંગળામણના કારણે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.


વૃંદાવન નગર-2 સોસાયટીમાં રહેતાં અને દોશી જ્વેલર્સની દુકાન ધરાવતાં કમલભાઈ દોશી, તેમના પત્ની દેવલબેન, પુત્ર દેવ અને રાજ ગઈકાલે રાત્રે જમી પરવારીને મકાનના બારી - દરવાજા બંધ કરી એસી ચાલુ કરી ઊંઘી ગયા હતાં. તેમના મોટા પુત્ર દેવની સગાઈ માટે આજે શુક્રવારે વાપી જવાનું હોઈ તે માટે ટેક્સી ભાડે કરી હતી. ટેકસી ડ્રાઈવરે સવારે કમલભાઈને મોબાઈલ કરવા છતાં નો રિપ્લાય આવતાં કમલભાઈના ઘરે જઈને જોતાં મકાનમાંથી ધૂમાડા નીકળતાં હોય કૈક ખોટું થયાની શંકા ગઈ હતી. નજીકમાં રહેતી કમલભાઈની ભત્રીજી કૃપા અને આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા અને બુમરાણ મચાવી હતી, પરંતુ અંદરથી કોઈ જ પ્રત્યુત્તર નહિં મળતાં ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમે બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી બે પુત્રો અને માતા પિતાને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. પરંતુ ચારેય કમભાગીઓને તબીબે મૃત જાહેર કર્યા હતા. દરમિયાન બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતકોનું પેનલ પી.એમ કરાવવા ઉપરાંત એફએસએલની મદદ લઇ અકસ્માત મોત અન્વયે નોંધ કરી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કમલભાઈનું અંતિમ વ્હોટ્સએપ સ્ટેટ્સ, જે થવાનું છે, તે નિશ્ચિત છે, અને જે નિશ્ચિત છે, તે જ થવાનું છે

કમલ દોશીનો આખો પરિવાર અકાળે મોતને ભેટયો છે ત્યારે આ ઘટના બાદ કમલ દોશીએ ગુરુવારે બપોરે 3.17 મિનિટે વ્હોટ્સએપમાં એક સ્ટેટ્સ મૂક્યું હતું, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જેમાં લખ્યુ હતું કે, જે થવાનું છે તે નિશ્ચિત છે અને જે નિશ્ચિત છે તે જ થવાનું છે. આ હૃદય દ્રાવક શબ્દો સૌને સ્પર્શી ગયા છે.

જવેલર્સનો વ્યવસાય હોય મકાન સંપૂર્ણ બંધ રાખતા હતા

કમલ દોશી વ્યવસાયે જવેલર્સ હતા.જેથી મકાનમાં સલામતી અને સાવચેતી માટે રાત્રિ દરમિયાન તમામ બારીઓ બંધ કરી દરવાજાને તાળું અવશ્ય બંધ કરતાં હતાં. વળી મકાનમાં વેન્ટિલશન એટલે કે હવાની અવરજવર માટે પણ રસોડા સહિત માંડ એક બે જગ્યા રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું.

આગ બાદ પતિ-પત્નીએ બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો

ઘરમાં આગ લાગતાં ધુમાડો ચારે તરફ પ્રસરી જતાં ગૂંગળામણ થતાં જાગી ગયેલા કમલભાઈ તેમની પત્ની દેવલબેન સાથે બહાર નીકળવા માટે પ્રયાસ કરી નીચે રસોડાના દરવાજા સુધી પહોંચી ગયા હતાં. પરંતુ ઓકિસજન ઓછો મળવાથી બંને આખરે બેભાન થઈ ગયા હોવા જોઈએ અને મોતને ભેટયા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

કમલભાઈના ઘરે મોડી રાત્રે 1 વાગ્યા સુધી ચહલ પહલ હતી

કમલભાઈ અને દેવલબેન બંનેને ગરબાનો ખૂબ જ શોખ હતો જેથી દર નવરાત્રિમાં તેઓ નિતનવી વેશભૂષા અને અલંકારો સાથે ગરબે ઘુમતા જોવા મળતાં હતા અને તમામ ખેલૈયામાં અલગ જ તરી આવતાં હતાં. પુત્ર દેવની વાપી ખાતે સગાઈ હોઈ ગોળ ધાણા વિધિ માટે શુક્રવારે વહેલી સવારે છ કલાકે જવાનું હોઈ પરિવારમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડી રાત્રે એક વાગ્યા સુધી કમલભાઈના ઘરના ચહલપહલ જોવા મળી હતી અને દેવલ બેને મહેંદી મુકાવી તમામ તૈયારીઓ પણ કરી હતી.


  • Follow us on: