રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ રાજેન્દ્ર શુક્લ અને આઈઆરસીટીસીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભગવાન રામના વનવાસ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળ, ચિત્રકૂટથી રામ યાત્રા ટ્રેનને લીલી ઝંડી બતાવીને આ યાત્રાનો શુભારંભ કર્યો. આ ઐતિહાસિક આધ્યાત્મિક ટ્રેન યાત્રા ચિત્રકૂટથી રામેશ્વરમ સુધી જશે અને પછી હવાઈ જહાજ દ્વારા લંકા અને અયોધ્યા સુધી ભગવાન રામના પગલાંનું અનુસરણ કરશે.
આ યાત્રાનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ
ભગવાન રામ વનવાસ દરમિયાન જે માર્ગે ગયા હતા તેને રામ વન ગમન પથ અથવા રામ યાત્રાના નામથી ઓળખવામાં આવે છે. આ યાત્રાનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. તે આપણને સાંસારિક મોહ-માયાથી ઉપર ઊઠવા, નૈતિક નિષ્ઠા જાળવી રાખવા અને બુરાઈઓ પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે. મોરારી બાપુ ભક્તોને મર્યાદા પુરુષોત્તમ રામના પગલે ચાલવા, દૃઢતાથી સનાતન ધર્મનું પાલન કરવા અને હિંદુ ધર્મના સારને પુનઃ શોધવા માટે આહ્વાન કરતા આવ્યા છે.
યાત્રામાં આપણે શું સાથે લઈ જવું જોઈએ
ચિત્રકૂટ રેલવે સ્ટેશન પર બાપુએ મીડિયાને સંબોધિત કર્યું. યાત્રામાં આપણે શું સાથે લઈ જવું જોઈએ અને શું નહીં આ વિશે બાપુએ કહ્યું "આ પવિત્ર યાત્રામાં આપણે ઈર્ષ્યા, ધૃણા અને નિંદાને પાછળ છોડી દેવી જોઈએ અને આપણી સાથે સત્ય, પ્રેમ અને કરુણા લઈને ચાલવું જોઈએ."
કથા સાંભળ્યા પછી રામ યાત્રીઓ યાત્રા ટ્રેનમાં પાછા ફર્યા
પ્રેસ કોન્ફરન્સ પછી બધા યાત્રીઓ રેલવે સ્ટેશનથી અત્રિ મુનિ આશ્રમ માટે રવાના થયા જ્યાં મોરારી બાપુએ આ યાત્રાની પ્રથમ રામકથા સંભળાવી. આ સ્થળ ઘણું મહત્વ ધરાવે છે કારણ કે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાનું વનવાસ દરમિયાન મહર્ષિ અત્રિ અને મહાસતી અનસૂયાના વન આશ્રમમાં અપાર શ્રદ્ધા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રિ મુનિએ શ્રી રામના દિવ્ય સ્વરૂપને ઓળખ્યું અને તેમનું સ્તુતિ ગાન કર્યું. ત્યાં મહાસતી અનસૂયાએ સીતાને નારી ધર્મ એક સમર્પિત પત્નીના કર્તવ્યોનો ઉપદેશ આપ્યો તથા તેમને એવા આભૂષણ આપ્યા જેમની ચમક ક્યારેય ઓછી થશે નહીં. કથા સાંભળ્યા પછી બધા યાત્રીઓ ફરીથી રામ યાત્રા ટ્રેનમાં પાછા ફર્યા. જે ચિત્રકૂટ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી.
યાત્રાનું અયોધ્યામાં થશે સમાપન
આ મહાયાત્રા 11 દિવસમાં પૂરી થશે અને 8,000 કિલોમીટરથી વધુ લાંબો પ્રવાસ કરશે. આ રામ યાત્રા ભગવાન રામના વનવાસ અને તેમની વાપસી સાથે જોડાયેલા બધા સ્થળો પરથી થઈને પસાર થશે. જેમાં અગસ્ત્ય મુનિ આશ્રમ, પંચવટી, શબરી આશ્રમ, ઋષિમુખ પર્વત, પરાવર્તન પર્વત, રામેશ્વરમ, રામ સેતુ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. યાત્રાનું સમાપન અયોધ્યામાં થશે.
બાપુના કોચને નામ આપવામાં આવ્યું “કૈલાસ”
યાત્રા ટ્રેનમાં 22 કોચ લાગેલા છે. જેમાં કુલ 411 શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે. આ ટ્રેનને રામ વનગમન યાત્રાના પ્રતીક તરીકે વિશેષ રીતે સજાવવામાં આવી છે. દરેક કોચનું નામ યાત્રાના ગંતવ્યના નામ પર રાખવામાં આવ્યું છે. બાપુના કોચને કૈલાસ નામ આપવામાં આવ્યું છે. જેવું કે સામાન્ય રીતે તેમના કોઈ પણ નિવાસનું નામ હોય છે.
ભક્તો માટે વિશાળ પંડાલ લગાવવામાં આવશે
યાત્રા દરમિયાન ભારત અને શ્રીલંકાના વિવિધ આધ્યાત્મિક સ્થળો પર 9 રામકથાઓનું વાચન થશે. દરેક ગંતવ્ય પર ભક્તો માટે વિશાળ પંડાલ લગાવવામાં આવશે. રામકથામાં દરેક વર્ગનો દરેક વ્યક્તિ ભાગ લઈ શકશે. બાપુની સમાવેશીતા અને સેવા પરંપરાને ધ્યાનમાં રાખીને દરેક સ્થળે ભંડારા (નિઃશુલ્ક સામૂહિક ભોજન)નું આયોજન કરવામાં આવશે. જેમાં દરરોજ પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવશે.
સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે આ યાત્રા
શ્રી મદન પાલીવાલના સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત આ યાત્રા સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે તથા આસ્થા, ભક્તિ અને એકતાનો સંગમ રજૂ કરશે. સત્ય, પ્રેમ અને કરુણાના શાશ્વત મૂલ્યો પર આધારિત, રામ યાત્રા, રામચરિતમાનસના શિક્ષણના પ્રસાર તથા માનવતાના આધ્યાત્મિક તાણા-વાણાને મજબૂત કરવાના બાપુના સતત મિશનને દર્શાવે છે. રામ યાત્રાનું આયોજન 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર 2025 સુધી થઈ રહ્યું છે. તથા તેનું સમાપન અયોધ્યામાં થશે. જે ધર્મની વિજય અને 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામની વાપસીનું પ્રતીક છે.