દિવાળીના તહેવારો અને લાંબા વેકેશનના કારણે મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર પર્યટકોના ધસારાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ભારતમાં આવેલા બે મુખ્ય સૂર્યમંદિરો પૈકીનું એક એવું આ મંદિર તેની ઐતિહાસિક અને સ્થાપત્ય કલાના કારણે ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. આ પ્રાચીન સૂર્યમંદિરનું નિર્માણ ગુજરાતના સુવર્ણકાળ એવા સોલંકીકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મંદિર તેની ભવ્યતા અને પ્રાચીન નકશીકામનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
પ્રાચીન નક્શીકામનું ઉત્તમ ઉદાહરણ છે સૂર્યમંદિર
મંદિરની દીવાલો અને સ્તંભો પર કરવામાં આવેલું સૂક્ષ્મ અને કલાત્મક કોતરણી કામ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. દિવાળી વેકેશનના કારણે ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે આ સ્થળની મુલાકાત લેવા આવી રહ્યા છે. મોઢેરાનું સૂર્યમંદિર અને તેની સાથે જોડાયેલું વિશાળ કુંડ ભારતીય સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવે છે. પ્રવાસીઓએ આ અદ્ભુત સૂર્યમંદિરનું નિરીક્ષણ કરીને અને ઇતિહાસ જાણીને અંતરનો આનંદ વ્યક્ત કર્યો હતો.













