પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના હિંમતનગર રેલવે સ્ટેશનનું કાયાપલટ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. સ્ટેશન બિલ્ડિંગનું લગભગ 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી સમયમાં મુસાફરોને આધુનિક તથા ઉત્તમ સુવિધાઓથી સજ્જ સ્ટેશન ઉપલબ્ધ થશે. આ પુનર્વિકાસ માત્ર મુસાફરીની સુવિધાઓ વધારશે નહીં, પરંતુ પ્રાદેશિક પર્યટન અને આર્થિક વિકાસને પણ નવી દિશા આપશે.
હિંમતનગર રેલવે સ્ટેશનની સુવિધાઓ
•અંદાજે 4110 યાર્ડ (લગભગ એક એકર જમીન) વિશાળ પાર્કિંગ, જે પર્યાપ્ત વાહન પાર્કિંગ સુવિધા પૂરી પાડશે.
•પિક અપ/ડ્રોપ ઓફ એરિયા, જેથી મુસાફરોને વાહન મૂકવા અને લેવામાં સુવિધા રહેશે.
•પરિસરમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ કરવામાં આવી છે જે મુસાફરો અને સ્થાનિક લોકો માટે ખુલ્લું અને હરિયાળું વાતાવરણ સુનિશ્ચિત કરે છે.
•મોટો કોન્કોર્સ એરિયા, મુસાફરો માટે ખુલ્લું અને વ્યવસ્થિત પ્રતીક્ષાલયની વ્યવસ્થા છે.
•ડીલક્સ એ.સી. વેઇટિંગ હોલ અને નોન એ.સી. વેઇટિંગ હોલ છે જે સામાન્ય મુસાફરો માટે આરામદાયક પ્રતીક્ષાલયની સુવિધા આપશે
•ફૂટ ઓવર બ્રિજ 36 ફૂટ પહોળો અને 67 મીટર લાંબો હશે, જે પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરશે.
સ્ટેશનનો પ્રવેશદ્વાર 12 મીટર પહોળો બનાવવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરો સરળતાથી સ્ટેશનમાં પ્રવેશી શકે
•પ્લેટફોર્મ–1 કવર શેડ 640 વર્ગમીટરમાં ફેલાયેલું છે, જ્યારે પ્લેટફોર્મ–2 અને 3 કવર શેડ 320 વર્ગમીટરના છે જે વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષા આપશે.
•દિવ્યાંગજન માટે શૌચાલયની વ્યવસ્થા.
•નિકાસ દ્વાર 12 મીટર પહોળો છે જેથી સ્ટેશનમાંથી સરળતાથી બહાર નીકળવું શક્ય બનશે
•સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગનો વિકાસ, જેથી વાહન સંચાલન સુવ્યવસ્થિત થશે.
•સ્ટેશન ફસાડ અને પ્રવેશદ્વારનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે.
•આધુનિક સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વધુ સુરક્ષા, બેઠક અને ટિકિટિંગ સુવિધા પૂરી પાડશે.
વર્તમાનમાં હિંમતનગર સ્ટેશન પર 12 નિયમિત અને 4 સ્પેશિયલ ટ્રેનો રોકાય છે
અહીંથી દરરોજ લગભગ 2500 મુસાફરો મુસાફરી કરે છે અને આ સ્ટેશનને ભવિષ્યમાં દરરોજ અંદાજે 50,000 મુસાફરોની અવરજવર અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે. પુનર્વિકસિત હિંમતનગર રેલવે સ્ટેશન મુસાફરોને સુરક્ષિત, આધુનિક અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ વિકાસ માત્ર મુસાફરીની સુવિધાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક વેપાર, પર્યટન અને રોજગારીને પણ પ્રોત્સાહન આપશે. નવું હિંમતનગર સ્ટેશન ભવિષ્યમાં સાબરકાંઠા ક્ષેત્ર માટે સ્માર્ટ અને આધુનિક રેલ પરિવહનનું પ્રતિક બનશે.
આ નવી સુવિધાથી આસપાસના શહેરોમાં રેલવેની પહોંચ વધુ મજબૂત બનશે
ગુજરાત સરકારના સહયોગથી સ્ટેશનથી મુખ્ય માર્ગ સુધી અંદાજે 100 મીટર લાંબી નવી સડક નું નિર્માણ થઈ રહ્યું છે, જેની સીધી કનેક્ટિવિટી સ્ટેશન અને સ્ટેશન પર બનાવાઈ રહેલા 12 મીટર પહોળા ફૂટઓવર બ્રિજ સાથે હશે. આ 12 મીટર પહોળો ફૂટઓવર બ્રિજ શહેરના બન્ને છેડાઓને જોડશે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકો માટે શહેરના એક છેડેથી બીજા છેડે જવું સરળ બનશે. આ સાથે જ હિંમતનગર–ખેડબ્રહ્મા રેલવે લાઇનનું ગેજ પરિવર્તન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ માર્ગ પર ટૂંક સમયમાં રેલ સેવાઓ શરૂ થશે, જેથી પ્રાદેશિક મુસાફરોને ઝડપી અને સરળ રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ નવી સુવિધાથી આસપાસના શહેરોમાં રેલવેની પહોંચ વધુ મજબૂત બનશે, જે આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરશે તથા ક્ષેત્રીય વિકાસને ગતિ આપશે.