રાજ્યમાં ખાતરની અછતના કારણે ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી જેના પગલે સરકાર હવે એક્શનમાં આવી છે. આજે ગાંધીનગર અને અમદાવાદના કૃષિ વિભાગના અધિકારીઓની ટીમે સાંબરકાંઠાના વડાલીમાં દરોડો પાડીને 1100થી વધુ બેગ ખાતર મળી આવ્યું હતું. રજીસ્ટ્રેશન ના હોય તેવા ગોડાઉનમાંથી ખાતર મળી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લાયસન્સ રદ કરી દેવાયું છે. ખાતરની અછત વચ્ચે તંત્રએ હવે ઠેર ઠેર તપાસ શરુ કરી છે અને કડક કાર્યવાહી કરાઇ રહી છે.
હાલ રાજ્યમાં ખાતરની તીવ્ર અછત
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં હાલ ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે. ખેતીની સિઝનમાં જ પુરતુ ખાતર ના મળતા ઠેર ઠેર ખેડૂતોને ખાતર મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. ઘણા સ્થળોએ તો ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી લાઇનો લાગી છે કારણ કે ડાંગર સહિતના પાકોની રોપણી બાદ તુરત જ ખાતરની જરુર પડે છે.
વડાલીમાં ગોડાઉનમાંથી 1100 બેગ ખાતર જપ્ત
દરમિયાન ગાંધીનગર નાયબ ખેતી નિયામક અને અમદાવાદના નાયબ ખેતી નિયામકે આજે માહિતી આધારે સાબરકાંઠાના વડાલીમાં દરોડો પાડ્યો હતો. અધિકારીઓની ટીમે રજીસ્ટ્રેશન ના હોય તેવા ગોડાઉનમાંથી 1100 બેગથી વધુ ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો.
વેપારીનું લાયસન્સ રદ કરાયુ
રજીસ્ટ્રેશન ના હોવાથી અધિકારીઓએ તત્કાળ લાયસન્સ રદ કરી દીધું હતું. વેપારીઓ 2030 સુધીનું લાયસન્સ મેળવ્યું હતું પણ તંત્ર દ્વારા તત્કાળ અસરથી લાયસન્સ રદ કરી દેવાયું હતું.
1100 બેગનો 1 માસમાં નિકાલ કરી દેવાશે
સુત્રોએ જણાવ્યું હતું કે ગોડાઉનમાંથી જપ્ત કરાયેલી 1100થી વધુ રાસાયણિક ખાતરની બેગોનો એક માસમાં નિકાલ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રાજ્યભરમાં ખાતરની તીવ્ર અછત સર્જાઇ છે અને ખાતરનો ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂત સંગઠનો પણ હવે મેદાનમાં આવ્યા છે અને વિવિધ સ્થળોએ અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે.