અમરેલી ખાતે રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે વરિષ્ઠ અધિકારીઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ, અશ્વ શો, ડોગ શો અને બુલેટ શો જેવા સાહસિક આકર્ષણો રજૂ કરાયા હતા.

મુખ્યમંત્રીનું સંબોધન: ‘વિકસિત ગુજરાત’નો સંકલ્પ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવાસીઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે. તેમણે આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય સાથે મહિલા સશક્તિકરણ, યુવા સ્કિલ ડેવલપમેન્ટ, પર્યાવરણ જાળવણી અને 'વિકસિત ગુજરાત 2047' માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી.

ગરીબો અને વિદ્યાર્થીઓ માટે સી.એમ.ની જાહેરાત
મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે રાજ્યના 16 લાખ પરિવારોને ઘર મળી ચૂક્યા છે, અને હવે ગ્રામીણ BPL પરિવારો માટે સરકાર ખાનગી જમીન ખરીદીને પણ મફત પ્લોટ ફાળવશે. સાથે જ, ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છતા યુવાનોને જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન
વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યને પૂર્ણ કરવા આહવાન કર્યું હતું. તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ગુજરાતના મહાન ક્રાંતિવીરોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અખંડ ભારત નિર્માણમાં સરદાર પટેલનું અપ્રતિમ યોગદાન
સરદાર પટેલના ભગીરથ કાર્યને યાદ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સરદાર સાહેબે માત્ર 18 મહિનામાં 560થી વધુ રજવાડાઓનું એકીકરણ કર્યું હતું. જો તેમણે આ અખંડ ભારતનું નિર્માણ ન કર્યું હોત, તો આજે આપણે રામ મંદિર કે કશ્મીર જવા માટે પણ પાસપોર્ટ-વિઝા લેવા પડત.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો